Surat News: આર્થિક સંકડામણ અને સામાન્ય બોલાચાલી કઈ હદ સુધી જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં માત્ર ૨૦૦૦ રૂપિયાની નજીવી લેતીદેતી બાબતે થયેલા ઝઘડામાં એક વૃદ્ધની લાકડાના ફટકા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. જોકે, સુરત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરતના જહાંગીરપુરામાં વૃદ્ધ પર હુમલો કરાતા થયું મોત : CCTVમાં કેદ થઈ ચોંકાવનારી ઘટના
સામાન્ય બાબતમાં લોહીયાળ જંગ: 4 મિનિટમાં 13 ફટકા
મળતી માહિતી મુજબ, જહાંગીરપુરા વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતા બે શખ્સો વચ્ચે ૨૦૦૦ રૂપિયાની લેતીદેતી બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. પૈસાની માંગણીને લઈને થયેલી આ તકરાર એટલી હદે વધી ગઈ કે આરોપી કિશોરભાઈ મોતીરામ પટેલ (ઉંમર ૫૫ વર્ષ) હિંસક બની ગયો હતો. તેણે ત્યાં પડેલા લાકડાના ફટકા વડે વૃદ્ધ બાબુભાઈ સાવંત (ઉંમર ૬૦ વર્ષ) પર હુમલો કરી દીધો હતો. ગુસ્સામાં અંધ થયેલા આરોપીએ માત્ર ૪ મિનિટની અંદર વૃદ્ધના માથામાં એક પછી એક ૧૩ જેટલા લાકડાના ફટકા ઝીંકી દીધા હતા.
સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
આ જીવલેણ હુમલાને કારણે બાબુભાઈ સાવંતને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગંભીર ઈજાઓને કારણે આખરે વૃદ્ધે દમ તોડ્યો હતો.
"રાજ્ય સરકાર વધુ સક્રિય કેમ નથી" : નાસીરનગર ડિમોલિશન કેસમાં HC એ રાજ્ય અને પોલીસને પૂછ્યા આકરા સવાલ
અકસ્માત મોતથી હત્યા સુધી: પોલીસની ત્વરિત કાર્યવાહી
ઘટનાની શરૂઆતમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, પોલીસને શંકા જતાં તેમણે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પીએમ (પોસ્ટમોર્ટમ) રિપોર્ટમાં માથાની ગંભીર ઈજાઓ સામે આવી અને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજમાં આરોપી કિશોર પટેલ વૃદ્ધ પર લાકડાના ફટકા વડે ક્રૂરતાપૂર્વક હુમલો કરતો સ્પષ્ટ નજરે પડ્યો હતો.
આ મજબૂત પુરાવાના આધારે જહાંગીરપુરા પોલીસે જરાય સમય ગુમાવ્યા વિના ગણતરીના કલાકોમાં જ આરોપી કિશોરભાઈ મોતીરામ પટેલની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





