Amreli Earthquake Update: ગુજરાતના અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. શુક્રવારની મધરાતે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે અંદાજે 2:24 વાગ્યે અનુભવાયેલા આ આંચકા બાદ લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. ખાસ કરીને કોસ્ટલ બેલ્ટ એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આ આંચકાની અસર વધુ તીવ્ર જોવા મળી હતી.
3.7ની તીવ્રતા અને મહુવા પાસે કેન્દ્રબિંદુ
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ISR) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) ભાવનગર જિલ્લાના મહુવા નજીક હોવાનું જાણવા મળ્યું છે. તીવ્રતા મધ્યમ સ્તરની હોવા છતાં, જમીનથી ઓછી ઊંડાઈએ ઉદ્ભવતા આંચકાના કારણે તેનો પ્રભાવ દૂર-દૂર સુધી અનુભવાયો હતો.
રાજુલાથી સાવરકુંડલા સુધી અસર: મકાનોમાં પડી તિરાડો
ગઈકાલે મધરાતે અનુભવાયેલા ભૂકંપનો સૌથી વધુ પ્રભાવ રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળ્યો હતો, જ્યારે ખાંભા અને સાવરકુંડલા પંથકમાં પણ લોકોએ જોરદાર ધ્રૂજારીનો અનુભવ કર્યો હતો. આ કુદરતી આંચકાના કારણે રાજુલા શહેરમાં કેટલાક જૂના મકાનોની દીવાલોમાં નાની તિરાડો પડી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ ભૂકંપના અનેક સીસીટીવી (CCTV) ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ધ્રૂજારીના કારણે ઘરનો સામાન હલતો અને ગભરાયેલા લોકો જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભયનું લખલખું પસાર કરી દીધું છે.
આ પણ વાંચો: પોર બેઠક પર ભાજપને ફટકો : ટિકિટ ન મળતા નયનાબેન પરમારે અપક્ષ લડવાની કરી જાહેરાત
કોઈ જાનહાનિ નહીં, તંત્ર એલર્ટ મોડ પર
સદનસીબે, આ કુદરતી આફતમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી, જે મોટી રાહતની વાત છે. તેમ છતાં, સ્થાનિક વહીવટી તંત્ર અને મામલતદાર કચેરી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને ગભરાવાને બદલે સાવચેત રહેવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
શા માટે વારંવાર ધ્રૂજે છે અમરેલીની ધરતી?
અમરેલી જિલ્લાનો ગીર વિસ્તાર અને કોસ્ટલ બેલ્ટ લાંબા સમયથી સિસ્મિક એક્ટિવિટી (ભૂસ્તરીય હલચલ) માટે જાણીતો છે. નિષ્ણાતોના મતે જમીનની અંદર રહેલી ફોલ્ટ લાઈન્સ સક્રિય થવાને કારણે વારંવાર નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે. અગાઉ પણ સાવરકુંડલા અને ખાંભા પંથકમાં મહિનામાં અનેકવાર આંચકા નોંધાઈ ચૂક્યા છે.






