સુરત શહેરમાં આવનારી સ્થાનિક ચૂંટણી પહેલા રાજકીય માહોલ વધુ જ ગરમાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે તેવી ઘટના સામે આવી છે, જ્યાં પાર્ટીએ ટિકિટ આપ્યા છતાં ઉમેદવારે રાજીનામું આપી દીધું છે. ડૉ. પ્રીતિ સદાદીયાના આ નિર્ણયે માત્ર પાર્ટીને નહીં પરંતુ સમગ્ર સ્થાનિક રાજકારણને ચોંકાવી દીધું છે.
ડૉ. સદાદીયાએ પોતાના રાજીનામા પત્રમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પાર્ટીમાં કેટલાક હોદ્દેદારો અને દિલ્હીથી આવેલા સહયોગીઓનું ધ્યાન સ્થાનિક મુદ્દાઓ કરતાં વધુ ફંડ ઉઘરાવામાં છે. તેમણે "નોનસેન્સ હોદ્દેદારો" શબ્દપ્રયોગ કરતાં પાર્ટીની આંતરિક કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. આ પ્રકારના આક્ષેપો પાર્ટી માટે ગંભીર છબીનો પ્રશ્ન ઊભો કરી શકે છે.
વોર્ડ બદલાતા ઉઠ્યો વિરોધ
ડૉ. પ્રીતિ સદાદીયા છેલ્લા પાંચ વર્ષથી સુરતના વોર્ડ નંબર 7 માં સક્રિય રહીને કામગીરી કરતા હતા. સ્થાનિક સ્તરે તેઓએ મજબૂત સંગઠન ઉભું કર્યું હતું અને વિસ્તારના લોકો સાથે સીધો સંપર્ક બનાવ્યો હતો. આ ચૂંટણીમાં પણ તેઓ એ જ વોર્ડમાંથી ઉમેદવારીની અપેક્ષા રાખતા હતા.
પરંતુ AAP એ તેમને અચાનક વોર્ડ નંબર 12 માંથી ટિકિટ ફાળવી, જેના કારણે તેઓ અને તેમના સમર્થકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો. સ્થાનિક કાર્યકરોનું કહેવું છે કે વર્ષોથી કરેલી મહેનત અને જનસંપર્કને અવગણવામાં આવ્યો છે.
200 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા
રાજીનામા બાદ ડૉ. સદાદીયાએ મોટો રાજકીય પગલું ભર્યું અને કોંગ્રેસમાં જોડાઈ ગયા. તમને જણાવી દઈએ કે તેઓ એકલા જ નથી જોડાયા, પરંતુ તેમના સાથે લગભગ 200 જેટલા કાર્યકરો પણ કોંગ્રેસમાં સામેલ થયા છે.
આ ઘટના કોંગ્રેસ માટે ફાયદાકારક બની શકે છે, કારણ કે એકસાથે મોટા પ્રમાણમાં કાર્યકરો જોડાતા સંગઠનને સ્થાનિક સ્તરે મજબૂતી મળે છે. ખાસ કરીને ચૂંટણી પહેલા આવા જોડાણો મતદાનના પરિણામોને પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો: "પાંચ વર્ષ કૌભાંડ કરનારા હવે ચૂંટણી આવતા 'સુંદરકાંડ' કરે છે" : AAP પર વરાછાના ધારાસભ્યનો સીધો પ્રહાર
AAPમાં ફરી ઊઠ્યા આંતરિક મતભેદના પ્રશ્નો
આ ઘટના પછી AAP માં આંતરિક મતભેદો ફરી ચર્ચામાં આવ્યા છે. અગાઉ પણ ટિકિટ વિતરણ અને સંગઠન વ્યવસ્થાને લઈને અસંતોષના અવાજો સાંભળવામાં આવ્યા હતા. હવે આ તાજા પ્રકરણએ તેને વધુ તીવ્ર બનાવ્યું છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે જો પાર્ટી આ પ્રકારના અસંતોષને સમયસર સંભાળી નહીં શકે, તો તેનો સીધો અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે. ખાસ કરીને જ્યારે વિરોધ પક્ષ આ મુદ્દાને પ્રચારમાં ઉપયોગમાં લે છે.





