નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના વ્યસ્ત ગણાતા કરોલ બાગ વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી મુસાફરો ભરીને આવી રહેલી એક ખાનગી ડબલ ડેકર બસ ઝંડેવાલન મંદિર પાસે અચાનક અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માત સમયે બસમાં અંદાજે ૨૫ જેટલા મુસાફરો સવાર હતા.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી જતાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ રાત્રે 01:08 વાગ્યે મળી હતી, ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું બહાર આવ્યું છે, જોકે પોલીસ અત્યારે સમગ્ર મામલે ઉંડી તપાસ કરી રહી છે.
નિયમોના ધજાગરા: બસમાં ઈમરજન્સી એક્ઝિટ બ્લોક હતી
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે અકસ્માતનો ભોગ બનેલી આ ડબલ ડેકર બસ નવા ટ્રાફિક નિયમોનું પાલન કરતી ન હતી. બસમાં માત્ર આગળના ભાગે એક જ મુખ્ય દરવાજો હતો. આશ્ચર્યજનક રીતે, બસના પાછળના ભાગે આવેલા ઈમરજન્સી એક્ઝિટના દરવાજા પાસે સીટો લગાવી દેવામાં આવી હતી, જેના કારણે અકસ્માત સમયે મુસાફરોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી હતી. અંતે કાચ તોડીને ઈમરજન્સી રસ્તો બનાવવો પડ્યો હતો. સુરક્ષાના નિયમોની આવી અવગણના મુસાફરો માટે જીવલેણ સાબિત થઈ છે.
રાજસ્થાન-દિલ્હી હાઈવે પર અકસ્માતોનો સિલસિલો
છેલ્લા કેટલાક દિવસોમાં બસ અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. હજુ ત્રણ દિવસ પહેલા જ જયપુર-દિલ્હી હાઈવે પર હરિયાણા રોડવેઝની બસે એક બાઈકને કચડી નાખી હતી, જેમાં ૩ મિત્રોના મોત થયા હતા. તે જ રીતે ગયા અઠવાડિયે રાજસ્થાનના હનુમાનગઢમાં મેગા હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં ૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સતત વધી રહેલા આ અકસ્માતો હાઈવે પર વાહન ચાલકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.





