CSK : IPL 2026 ની રોમાંચક મેચો વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ગ્રુપમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સુધારવા મથામણ કરી રહી છે, ત્યારે જ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયા છે. આ સમાચાર ફેન્સ અને ટીમ મેનેજમેન્ટ બંને માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
ખલીલ અહેમદ આખી IPL માંથી બહાર
હાલના રિપોર્ટ્સ અનુસાર, ખલીલ અહેમદને ક્વાડ્રિસેપ્સમાં ગંભીર ઈજા થઈ છે. 14 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી મેચ દરમિયાન તેને આ ઈજા થઈ હતી. રિપોર્ટ્સ મુજબ, આ 'ગ્રેડ 2 ટીયર' ઈજા છે, જેને ઠીક થવામાં ઓછામાં ઓછા 10 થી 12 અઠવાડિયાનો સમય લાગી શકે છે. ખલીલ અહેમદે આ સિઝનની તમામ પાંચ મેચોમાં શાનદાર પરફોર્મન્સ કર્યું હતું, જેના કારણે તેની ખોટ ચેન્નાઈ સુપર કિંગ્સને ચોક્કસપણે વર્તાશે.
એમ. એસ ધોનીના કમબેકનું અપડેટ
બીજી તરફ, ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેવા મહેન્દ્ર સિંહ ધોનીની ફિટનેસ અંગે પણ મોટા સમાચાર છે. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, એમ. એસ ધોની 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાઇ-વોલ્ટેજ "El Clásico" મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મેદાનમાં ઉતરી શકે છે. તે હાલમાં તેમની પગની ઈજામાંથી રિકવર થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં જ નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરશે તેવી શક્યતા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું પરફોર્મન્સ
IPL 2026 માં અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. શરૂઆતની ત્રણ મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી અને કોલકાતા સામે સતત 2 જીત મેળવી છે. જોકે, ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં આઠમાં ક્રમે છે. ઓપનર સંજુ સેમસનનું ફોર્મમાં આવવું એ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રાહતના સમાચાર છે, પરંતુ હવે ખલીલ અહેમદની જગ્યાએ કયા બોલરને તક આપવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ ખાસ વાંચો : ‘મિડલ ઓર્ડરનો વિસ્ફોટક હીરો’ IPL 2026 પછી ટીમ ઈન્ડિયામાં કરશે એન્ટ્રી : 32 વર્ષની ઉંમરે ડેબ્યૂ માટે દાવેદારી કરી મજબૂત!
ચેન્નાઈની આગામી મેચો
ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ 18 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે. આ મેચમાં ખલીલ અહેમદ અને એમ. એસ ધોની બંને ઉપલબ્ધ રહેશે નહીં, જે ઋતુરાજ ગાયકવાડ માટે કેપ્ટન તરીકે કસોટી સમાન બની રહેશે.





