વૈશ્વિક કોમોડિટી બજારમાં શુક્રવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડતેલના ભાવમાં વધારો નોંધાયો હતો, જ્યારે બીજી તરફ ડોલર મજબૂત બનતા અને વૈશ્વિક રોકાણકારો દ્વારા વેચવાલી વધતાં સોના, ચાંદી અને પ્લેટીનમના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારની આ અસર ભારતીય બુલિયન બજારમાં પણ જોવા મળી હતી, જ્યાં અમદાવાદ અને મુંબઈના ઝવેરી બજારોમાં સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં નરમાઈનું મુખ્ય કારણ અમેરિકન ડોલર ઇન્ડેક્સમાં થયેલો વધારો માનવામાં આવી રહ્યો છે. ડોલર મજબૂત બનતા સોના જેવા સુરક્ષિત રોકાણમાં ફંડોની વેચવાલી વધી હતી, જેના કારણે સોનાના ભાવ મહત્વના માનસિક સ્તર 4,000 ડોલરની નીચે સરકી ગયા હતા. બજારના નિષ્ણાતોનું માનવું છે કે ડોલરની મજબૂતી અને રોકાણકારોની નફાવસૂલીને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ યથાવત રહી શકે છે.
સોના-ચાંદીમાં નોંધપાત્ર ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ આશરે 4,038 ડોલરની સપાટીથી ઘટીને 3,970 ડોલર સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ 3,982 ડોલરની આસપાસ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ વેચવાલી વધી હતી. વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ ઔંસ દીઠ 56.75 ડોલરથી ઘટીને 54.77 ડોલર સુધી પહોંચ્યા હતા અને બાદમાં 55.20 ડોલરની આસપાસ રહ્યા હતા.
વિશ્વ બજારના ઘટાડાની સીધી અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.500નો ઘટાડો નોંધાયો હતો. 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ.1,45,700 જ્યારે 99.9 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ.1,46,000 રહ્યો હતો. ચાંદીમાં તો વધુ મોટો ઘટાડો નોંધાયો હતો અને પ્રતિ કિલો રૂ.5,000 તૂટીને ભાવ રૂ.2,18,000 સુધી પહોંચ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં પણ જીએસટી વગર 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ.1,40,594 અને 99.9 શુદ્ધતાવાળા સોનાનો ભાવ રૂ.1,41,159 નોંધાયો હતો, જેમાં રૂ.500નો ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં ચાંદીના ભાવ રૂ.2,000 ઘટીને રૂ.2,15,474 પ્રતિ કિલો રહ્યા હતા. જીએસટી ઉમેર્યા બાદ ગ્રાહકો માટે આ ભાવ લગભગ ત્રણ ટકા વધુ રહ્યા હતા.
આ પણ વાંચો: વેનેઝુએલામાં વેરાયો વિનાશ : ભૂકંપે લીધો 5,069 લોકોનો જીવ
આયાત ખર્ચ અને ડ્યૂટીમાં ફેરફારની અસર
બજારના જાણકારોના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટવાથી ભારત માટે આયાત ખર્ચમાં ઘટાડો થયો છે. જોકે ભારત સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જ દરમાં વધારો કરતા અસરકારક આયાત શુલ્કમાં પણ વધારો થયો છે. પરિણામે વૈશ્વિક બજારમાં ઘટાડા છતાં સ્થાનિક બજારમાં ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો નથી. વિશ્લેષકોના મતે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારનું વલણ, ડોલરની ચાલ અને કેન્દ્ર સરકારની આયાત નીતિ સ્થાનિક બુલિયન બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ક્રૂડતેલમાં તેજીનું મુખ્ય કારણ જીઓપોલિટિકલ તણાવ
બીજી તરફ ક્રૂડતેલના બજારમાં તેજીનું વાતાવરણ રહ્યું હતું. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે હોર્મુઝ જળમાર્ગ પર ઓઈલ ટેન્કરોની અવરજવરમાં વિક્ષેપના અહેવાલો સામે આવ્યા હતા. હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક હોવાથી અહીં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક સપ્લાય પર સીધી અસર કરે છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 86.20 ડોલરની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ 86.02 ડોલર આસપાસ રહ્યા હતા, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડના ભાવ 81.07 ડોલર સુધી પહોંચીને બાદમાં 80.83 ડોલર રહ્યા હતા.
નિષ્ણાતોના અંદાજ મુજબ વર્તમાન પરિસ્થિતિમાં વૈશ્વિક સ્તરે દરરોજ આશરે 135થી 136 લાખ બેરલ ક્રૂડતેલના પુરવઠામાં ઘટાડો થયો છે. આ આંકડો છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી ગંભીર સપ્લાય વિક્ષેપોમાંનો એક માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: આજે 18 જુલાઈ : નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ
1973 અને 1990 જેવી સ્થિતિનો સંકેત
કોમોડિટી બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ હાલની સ્થિતિ ઐતિહાસિક રીતે પણ નોંધપાત્ર છે. અગાઉ 1973ના આરબ ઓઈલ સંકટ અને 1990ના ગલ્ફ વોર દરમિયાન વૈશ્વિક તેલ પુરવઠામાં ઘટાડો થયો હતો, પરંતુ તે સમયે દરરોજ અંદાજે 40થી 60 લાખ બેરલ સપ્લાય જ પ્રભાવિત થઈ હતી. હાલના અંદાજ પ્રમાણે પુરવઠામાં 135થી 136 લાખ બેરલનો ઘટાડો નોંધાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે વૈશ્વિક ઊર્જા બજાર માટે ગંભીર પડકાર બની શકે છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ક્રૂડતેલના ભાવમાં વધુ વધારો અને તેના પરિણામે વૈશ્વિક ફુગાવા પર દબાણ વધવાની શક્યતા પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન પ્લેટીનમ અને પેલેડિયમ જેવા અન્ય કિંમતી ધાતુઓમાં પણ નરમાઈ જોવા મળી હતી. પ્લેટીનમના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ.3,000નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પેલેડિયમના ભાવ પણ ઘટીને ઔંસ દીઠ આશરે 1,239 ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોમોડિટી બજારમાં હાલ જીઓપોલિટિકલ તણાવ, ડોલરની મજબૂતી, રોકાણકારોની ભાવના અને સપ્લાય ચેઇનની સ્થિતિ મુખ્ય નિર્ણાયક પરિબળો બની રહ્યા છે. તેથી આગામી દિવસોમાં ક્રૂડતેલ તેમજ કિંમતી ધાતુઓના ભાવમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે.





