નવી દિલ્હી: મોટા ભાગના લોકો એવી માન્યતા ધરાવે છે કે જો તેમની વાર્ષિક આવક આવકવેરાની મૂળ કરમુક્તિ મર્યાદા (Basic Exemption Limit) કરતાં ઓછી હોય તો તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return-ITR) ભરવાની કોઈ જરૂર નથી. પરંતુ હાલના સમયમાં આવકવેરા વિભાગ માત્ર તમારી આવકના આધારે જ નહીં, પરંતુ તમારા નાણાકીય વ્યવહારો, મોટા ખર્ચ, રોકાણ અને અન્ય હાઈ-વેલ્યૂ ટ્રાન્ઝેક્શનના આધારે પણ નક્કી કરે છે કે તમને ITR ફાઇલ કરવું જરૂરી છે કે નહીં. આકારણી વર્ષ (Assessment Year) 2026-27 માટે ITR ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આવકવેરા વિભાગ પાસે હવે બેંકો, નાણાકીય સંસ્થાઓ, વિદેશી રોકાણ સંબંધિત માહિતી અને અન્ય સરકારી એજન્સીઓ પાસેથી ડિજિટલ ડેટા ઉપલબ્ધ રહે છે. તેથી, ભલે તમારો ટેક્સ શૂન્ય હોય, છતાં કેટલાક કિસ્સાઓમાં ITR ફાઇલ કરવું કાયદાકીય રીતે ફરજિયાત બની જાય છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ભવિષ્યમાં નોટિસ અથવા અન્ય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
સેવિંગ્સ એકાઉન્ટમાં ₹50 લાખથી વધુ જમા
જો કોઈ નાણાકીય વર્ષ દરમિયાન તમારા એક અથવા એકથી વધુ સેવિંગ્સ એકાઉન્ટમાં કુલ મળીને ₹50 લાખ અથવા તેથી વધુ રકમ જમા થઈ હોય, તો તમારે ITR ફાઇલ કરવું જરૂરી બની શકે છે. સરકાર મોટા નાણાકીય વ્યવહારો પર નજર રાખવા માટે આવા ટ્રાન્ઝેક્શનની માહિતી એકત્રિત કરે છે. ભલે આ રકમ તમારી આવક ન હોય, પરંતુ બેંકિંગ સિસ્ટમમાં થયેલા મોટા જમા વ્યવહારોને કારણે આવકવેરા વિભાગ તમારી પાસેથી રિટર્નની અપેક્ષા રાખી શકે છે.
આ પણ વાંચો: EPFO અને UMANGના નામે મોટું ફ્રોડ! : આ એક ભૂલ તમારા PF ખાતાને કરી શકે છે ખાલી, EPFOએ આપી મોટી ચેતવણી
વિદેશમાં સંપત્તિ અથવા રોકાણ હોય તો
જો તમે ભારતના રહેવાસી (Resident) હો અને તમારી પાસે વિદેશમાં કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય, તો ITR ફાઇલ કરવું ફરજિયાત બની શકે છે.આમાં વિદેશી બેંક ખાતું, વિદેશમાં મિલકત, અમેરિકન અથવા અન્ય વિદેશી કંપનીઓના શેર, વિદેશી રોકાણ અથવા કોઈ વિદેશી ખાતામાં સહી કરવાની સત્તા (Signing Authority) જેવી બાબતોનો સમાવેશ થાય છે. આવી માહિતી ITRમાં જાહેર કરવી જરૂરી છે.
કરન્ટ એકાઉન્ટમાં ₹1 કરોડથી વધુ જમા
જો એક નાણાકીય વર્ષ દરમિયાન તમારા એક અથવા વધુ કરન્ટ એકાઉન્ટમાં કુલ મળીને ₹1 કરોડથી વધુની રકમ જમા થઈ હોય, તો પણ ITR ફાઇલ કરવું જરૂરી છે. આ નિયમ ખાસ કરીને વેપારીઓ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે મહત્વનો છે. ભલે વ્યવસાયમાં નફો ન થયો હોય અથવા ટેક્સ ચૂકવવાનો ન હોય, છતાં આવા મોટા ટ્રાન્ઝેક્શનને કારણે રિટર્ન ભરવું જરૂરી બની શકે છે.
વિદેશ પ્રવાસ પર ₹2 લાખથી વધુ ખર્ચ
જો તમે તમારા પોતાના અથવા પરિવારના કોઈ સભ્યના વિદેશ પ્રવાસ પાછળ એક વર્ષ દરમિયાન ₹2 લાખથી વધુ ખર્ચ કર્યો હોય, તો પણ તમારે ITR ફાઇલ કરવું જરૂરી બની શકે છે. વિદેશ પ્રવાસને આવકવેરા વિભાગ હાઈ-વેલ્યૂ ખર્ચ તરીકે ગણાવે છે. તેથી, ભલે તમારી આવક કરમુક્તિ મર્યાદાથી ઓછી હોય, પરંતુ આવા ખર્ચના આધારે પણ રિટર્ન ફાઇલ કરવાની ફરજ પડી શકે છે.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની નવી ટેક્નોલોજી આવી : હવે નહીં થાય LPGનો બગાડ, જાણો LOT સિલિન્ડરના મોટા ફાયદા





