BANASKANTHA: સરકારી નોકરી છોડીને ખેતીમાં સફળતાની નવી ઓળખ ઉભી કરનાર બનાસકાંઠાના એક પ્રગતિશીલ ખેડૂત આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના રાઠોડ અનિલકુમાર લક્ષ્મણભાઈએ CRPFમાં ત્રણ વર્ષ સેવા આપ્યા બાદ ખેતી પ્રત્યેના લગાવને કારણે નોકરી છોડી અને પપૈયાની ખેતી તરફ પ્રયાણ કર્યું. વર્ષ 2018માં માત્ર એક એકરથી શરૂઆત કરનાર અનિલકુમારે પ્રથમ જ વર્ષે લાખો રૂપિયાનો નફો મેળવ્યો હતો. આજે તેઓ 25 વિઘામાં પપૈયાનું વાવેતર કરી રહ્યા છે અને 250થી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપી તેમની આવક વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
વિઓ.. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના પ્રગતિશીલ ખેડૂત રાઠોડ અનિલકુમાર લક્ષ્મણભાઈ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. BSC Horticultureનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2013માં તેમણે દેશસેવાના હેતુથી CRPFમાં જોડાઈ ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી હતી, પરંતુ ખેતી પ્રત્યેનો લગાવ અને કૃષિ ક્ષેત્રમાં કંઈક નવું કરવાની ઇચ્છાએ તેમને સરકારી નોકરી છોડીને ખેતી તરફ વાળ્યા. વર્ષ 2018માં તેમણે પપૈયાની ખેતીની શરૂઆત માત્ર એક એકર જમીનથી કરી હતી.
વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને બાગાયતી પાક અંગેના પોતાના અભ્યાસનો ઉપયોગ કરીને પ્રથમ જ વર્ષે એક એકર જમીનમાંથી અંદાજે 6 લાખ રૂપિયાનો નફો મેળવ્યો હતો. આ સફળતાએ તેમને વધુ પ્રોત્સાહન આપ્યું અને ધીમે ધીમે પપૈયાની ખેતીનો વિસ્તાર વધારતા આજે તેઓ 25 વિઘા જમીનમાં પપૈયાનું વાવેતર કરી રહ્યા છે. અનિલકુમાર માત્ર પોતાની ખેતીમાં જ સફળતા મેળવી રહ્યા નથી, પરંતુ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપી રહ્યા છે.
તેઓ સીધા સંપર્ક તેમજ મોબાઇલ ફોન દ્વારા 250થી વધુ ખેડૂતોને પપૈયાની ખેતી, પાક વ્યવસ્થાપન, રોગ નિયંત્રણ અને બજાર વ્યવસ્થા અંગે સતત માહિતી અને સલાહ આપે છે. તેમના માર્ગદર્શનથી અનેક ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી બાગાયતી પાક તરફ વળી પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે. એક સમય દેશની સુરક્ષા માટે ફરજ બજાવનાર આ યુવાન આજે કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરી ખેડૂતોને આત્મનિર્ભર બનવાનો માર્ગ બતાવી રહ્યા છે.
નોકરી છોડીને ખેતીને વ્યવસાય તરીકે અપનાવનાર અનિલકુમાર રાઠોડની સફળતા સાબિત કરે છે કે જો યોગ્ય જ્ઞાન, આયોજન અને મહેનત હોય તો ખેતી પણ લાખોની આવક આપતું સફળ વ્યવસાય બની શકે છે. તેમના આ પ્રયાસો બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યા છે.






