Ahmedabad News: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના ઉમેદવાર તરીકે જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આપેલા નિવેદન પર હવે વિપક્ષ કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકારની નીતિઓ અને ભૂતકાળની લોકશાહી વિરોધી પ્રક્રિયાઓ પર આકરા સવાલો ઉઠાવતા એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
કોંગ્રેસ લોકશાહીમાં માને છે, તોડજોડમાં નહીં: ડૉ. મનીષ દોશી
ભાજપના નિવેદનનો જવાબ આપતા ડૉ. મનીષ દોશીએ સ્પષ્ટ કર્યું હતું કે, કોંગ્રેસ હંમેશાંથી લોકશાહી પ્રક્રિયા અને બંધારણીય મૂલ્યોમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેમણે ઉમેદવાર ન ઉતારવા અંગે ખુલાસો કરતા જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ પાસે હાલમાં પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે અમે આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઊભો રાખ્યો નથી. અમે ભાજપની જેમ સત્તા મેળવવા માટે સામ, દામ, દંડ, ભેદ કે તોડજોડની રાજનીતિ કરવામાં માનતા નથી. ભાજપે ભૂતકાળમાં કઈ રીતે સત્તાના જોરે ધારાસભ્યોની ખરીદ-વેચાણ કરીને લોકશાહીની હત્યા કરી છે, તે આખું ગુજરાત અને દેશ સારી રીતે જાણે છે."
12 વર્ષના શાસનમાં ગુજરાતને શું મળ્યું?' કોંગ્રેસના ધારદાર સવાલો
ડૉ. મનીષ દોશીએ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના લાંબા શાસન પર પ્રહાર કરતા પૂછ્યું કે, ભાજપે જવાબ આપવો જોઈએ કે તેમના ૧૨ વર્ષના શાસનમાં ગુજરાતના હિતોને શું ફાયદો થયો છે? તેમણે ગુજરાતના અન્યાયનો મુદ્દો ઉઠાવતા મુખ્ય ત્રણ સવાલો ભાજપ સામે મૂક્યા હતા. ગુજરાતમાંથી રેલ્વેને કરોડો રૂપિયાની આવક થાય છે, છતાં હજુ સુધી પશ્ચિમ રેલ્વે (Western Railway) નું વડું મથક ગુજરાતને કેમ ન મળ્યું? ચૂંટણીઓ આવે ત્યારે ભાજપના નેતાઓ ગર્વથી કહે છે કે 'આખો દેશ ગુજરાતનું મીઠું ખાય છે'. તો પછી દેશમાં સૌથી વધુ મીઠું પકવતા ગુજરાતને હજુ સુધી 'સોલ્ટ કમિશનર'ની ઓફિસ કેમ ફાળવવામાં આવી નથી? ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાને હજુ સુધી 'રાષ્ટ્રીય પ્રોજેક્ટ' (National Project) નો દરજ્જો કેમ આપવામાં આવ્યો નથી?
લોકશાહીના નામે માત્ર દેખાડો કરવાનો આક્ષેપ
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ માત્ર ચૂંટણી જીતવા માટે જ મોટા-મોટા દાવાઓ કરે છે, પરંતુ જ્યારે ગુજરાતના હક્કો અને હિતોની વાત આવે છે ત્યારે દિલ્હી દરબાર સામે મૌન સેવી લે છે. રાજ્યસભાની આ ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના આ આકરા પ્રહારોએ આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના રાજકીય યુદ્ધને વધુ તેજ બનાવી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ તરફથી આ સવાલોના શું જવાબો આપવામાં આવે છે.





