Home Gujarat Rajkot Rajkot Bageshwar Dham Organiser Response On Controversy

"કોઈને ધુણવા માટે આમંત્રણ કે ઇન્જેક્શન આપ્યું ન હતું" : રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર વિવાદ પર આયોજકની સ્પષ્ટતા

Bageshwar Dham Rajkot
Play Video
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jun 08, 2026, 10:39 AM IST

rajkot baba Bageshwar Controversy: રાજકોટમાં તાજેતરમાં યોજાયેલા બાગેશ્વર ધામના દરબાર દરમિયાન કેટલાક લોકો કથિત રીતે ધૂણતા અને અસામાન્ય વર્તન કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ ભારત જન વિજ્ઞાન જાથા અને કેટલાક સામાજિક આગેવાનો દ્વારા પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ કાર્યક્રમના આયોજકો તરફથી પણ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. બાગેશ્વર ધામના કાર્યક્રમના આયોજક સભ્ય મંગેશ દેસાઈએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન ધૂણતા જોવા મળેલા લોકો અને આયોજકો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેમણે કહ્યું કે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને પ્રેક્ષકોમાંથી કેટલાક લોકો અચાનક આગળ આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને આયોજકો સાથે જોડવી યોગ્ય નથી.

‘બાબાએ કોઈને ધુણવા માટે આમંત્રણ આપ્યું નથી’

મંગેશ દેસાઈએ જણાવ્યું કે બાગેશ્વર ધામના પીઠાધીશ દ્વારા કોઈ વ્યક્તિને ધૂણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો ન હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નથી કે કોઈ પ્રકારની દવા અથવા ઇન્જેક્શન આપવામાં આવ્યું નથી. તેમના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ દરમિયાન બાબાના ધાર્મિક સૂત્રો અને મંત્રોચ્ચાર બાદ કેટલાક લોકો ભાવાવેશમાં આવ્યા હોઈ શકે છે. આ અંગે અલગ-અલગ લોકો અલગ માન્યતા ધરાવી શકે છે, પરંતુ આયોજકો દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કે આયોજન કરવામાં આવ્યું ન હતું.

આ પણ વાંચો: ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં ‘ભૂત-પ્રેત’ના દાવાઓએ મચાવ્યો હોબાળો: સામાજિક આગેવાનો અને વિજ્ઞાન જાથા મેદાને, કડક કાર્યવાહી કરવાની કરી માંગ

કાયદાકીય મંજૂરી અંગે આપી સ્પષ્ટતા

કાર્યક્રમ માટે લેવામાં આવેલી કાયદાકીય મંજૂરી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંગેશ દેસાઈએ જણાવ્યું કે વિવિધ પ્રકારની જવાબદારીઓ અલગ-અલગ આયોજકોને સોંપવામાં આવી હતી. તેથી દરેક પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી તેમની પાસે નથી. તેમણે ઉમેર્યું કે જો આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચશે તો આયોજકો કાયદાકીય રીતે પોતાનો પક્ષ રજૂ કરશે. કોર્ટ અને કાયદાનું સન્માન દરેક માટે સમાન છે અને જે પણ કાર્યવાહી થશે તેનો સામનો કાયદેસર રીતે કરવામાં આવશે.

આ પણ વાંચો: બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં: રાજકોટમાં "ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચમત્કાર બતાવવા પ્રેત બોલાવવાનું નાટક ઉભું કર્યું" બાબાએ કહ્યું; મીડિયામાં વીડિયો ના ચલાવતા

‘વિજ્ઞાન જ્યાં પૂર્ણ થાય ત્યાંથી ધર્મ શરૂ થાય છે’

વિજ્ઞાન જાથા દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અંગે મંગેશ દેસાઈએ જણાવ્યું કે દરેક સમાજ અને સંપ્રદાયની પોતાની ધાર્મિક પરંપરાઓ હોય છે. તેમના મતે, ઘણી વખત એવી બાબતો પણ હોય છે જેને વિજ્ઞાન સંપૂર્ણ રીતે સમજાવી શકતું નથી અને ત્યાંથી ધર્મ તથા આસ્થાનો વિષય શરૂ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે વિવિધ વિચારો અને માન્યતાઓ ધરાવતા લોકો વચ્ચે મતભેદ હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા રાખવાનો અધિકાર છે.

આ પણ વાંચો:રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં 20થી વધુ લોકોમાં ભૂત ધૂણ્યા: ધૂણતા ધૂણતા લોકોને મારવા લાગી મહિલા, Video જોઈ ફફડી જશો

વિવાદ વચ્ચે વધ્યું રાજકીય અને સામાજિક ચર્ચાનું તાપમાન

બાગેશ્વર ધામના કાર્યક્રમ બાદ સામે આવેલા વીડિયો અને નિવેદનોને કારણે સમગ્ર મામલો હવે સામાજિક અને કાયદાકીય ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક સંગઠનો દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે આયોજકો તમામ આક્ષેપોને નકારી રહ્યા છે. હાલ પોલીસ અથવા વહીવટી તંત્ર તરફથી આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી જાહેર કરવામાં આવી નથી. જોકે આગામી દિવસોમાં આ મુદ્દે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં: રાજકોટમાં "ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચમત્કાર બતાવવા પ્રેત બોલાવવાનું નાટક ઉભું કર્યું" બાબાએ કહ્યું; મીડિયામાં વીડિયો ના ચલાવતા

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં
Play Video