SIRની કામગીરીને લઈને ગુજરાત કોંગ્રેસે ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રાફ્ટ મતદારયાદી બહાર પડ્યા બાદ એક સુવ્યવસ્થિત રાજકીય ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ મતચોરી કરીને સત્તામાં આવે છે, જેમ કે રાહુલ ગાંધીએ પણ સ્પષ્ટ કહ્યું છે.
'ડ્રાફ્ટ મતદારયાદી પછી ગુજરાતમાં એક ષડયંત્ર ચાલી રહ્યું છે'
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, 'હાલ ડ્રાફ્ટ મતદારયાદી બાદની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં BLO તેમજ રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ છે. આ પ્રક્રિયાનો દુરુપયોગ કરીને કોંગ્રેસના કમિટેડ મતદારોના નામ મતદારયાદીમાંથી કમી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટ મતદારયાદી બહાર પડ્યા બાદ કલેક્ટર દ્વારા AROને ફોર્મ નંબર 7ના બંચ આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ મતદારયાદીમાંથી નામ કાઢવા માટે થાય છે.
'ખોટું કરવા ગયા અને રંગે હાથે પકડાયા છે'
શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે, 'જે બૂથોમાં કોંગ્રેસના સમર્પિત મતદારો વધુ છે, તે બૂથોમાં ખાસ કીટ બનાવીને નામ કમી કરવા માટેના ફોર્મ વહેંચવામાં આવ્યા છે. આ ફોર્મમાં વિગતો પહેલેથી જ ટાઇપ કરીને ભરેલી છે, જ્યારે હાથેથી લખેલી વિગતો ગુજરાતીમાં છે અને ટાઇપ કરેલી વિગતો અંગ્રેજીમાં હોવાનું તેમણે જણાવ્યું. કોંગ્રેસે આને સ્પષ્ટ ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે બાપુનગર વિધાનસભા ક્ષેત્રનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં અન્ય લોકોના ચૂંટણીકાર્ડના આધારે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. ખાસ કરીને અનિતાબેન હાર્દિકભાઈ મોદી દ્વારા અનેક વાંધા અરજીઓ કરવામાં આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે અનિતાબેન મોદી ભાજપના કાર્યકર છે અને ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નેતાઓએ કહ્યું કે ખોટું કરવા ગયા અને રંગે હાથે પકડાયા છે.
'ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીનો ડર લાગી રહ્યો છે'
કોંગ્રેસે માગ કરી છે કે ચૂંટણી પંચ દ્વારા 182 વિધાનસભા બેઠક મુજબ કલેક્ટર પાસેથી સમગ્ર વિગત મંગાવવામાં આવે અને વાંધા અરજી કરનાર વ્યક્તિને બોલાવીને યોગ્ય તપાસ કરવામાં આવે. તેમણે જણાવ્યું કે ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીનો ડર લાગી રહ્યો છે અને તેથી આવી હરકતો કરવામાં આવી રહી છે. આ મુદ્દે ચૂંટણી કમિશનર હરિત શુક્લને પણ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અંતમાં કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે ખોટા અને બનાવટી વાંધા ઉઠાવનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે તેઓ લોકશાહીના પવિત્ર મતાધિકારની રક્ષા માટે અંત સુધી લડત આપશે અને સાચા મતદારોના હકો પર કોઈ પણ પ્રકારનો હુમલો સહન કરવામાં નહીં આવે.




















