'બર્ગર' નિવેદનથી વિવાદમાં સપડાયા વિજેતા દહિયા: CJPએ પ્રવક્તા પદેથી હટાવ્યા; તમામ જવાબદારીઓ પણ પાછી ખેંચી


રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસની નજીક ચાલી રહેલા કોંગ્રેસના ધરણા પ્રદર્શન વચ્ચે એક મોટો રાજકીય વળાંક આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓને મનાવવા અને સ્થિતિ સંભાળવા માટે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ સ્થળ પર પહોંચ્યા છે. વિપક્ષી નેતાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને રાજીનામાની માગ વચ્ચે સરકારના પ્રતિનિધિ તરીકે તેમની આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
(File Photo)
રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આવાસથી PM આવાસ સુધી કોંગ્રેસ નેતાઓએ એક વિશાળ માર્ચ કાઢી હતી. આ માર્ચ બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદો તથા નેતાઓ પ્રધાનમંત્રી આવાસની નજીક જ ધરણા પર બેસી ગયા છે. PM આવાસની સામે કોંગ્રેસ નેતાઓનું આ વિરોધ પ્રદર્શન હાલ ચાલુ છે અને તેઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે જવાબદાર મંત્રીઓના રાજીનામાની માગ કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા હોસ્પિટલની મુલાકાત લીધા બાદ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા પણ દિલ્હીની RML હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે હોસ્પિટલમાં દાખલ CJP પ્રદર્શન અને સંઘર્ષ દરમિયાન ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી છે અને તેમના સ્વાસ્થ્ય અંગે પુષ્ટિ કરી છે. સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે ચાલી રહેલા સંવાદ અને સ્થિતિ વચ્ચે આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.
નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ CJP પ્રદર્શન હિંસા મામલે માહિતી આપતા જણાવ્યું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 4 થી 5 FIR નોંધવામાં આવી છે. હાલ કાનૂની ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે. નવી દિલ્હી વિસ્તારમાં યોગ્ય સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વિજય ચોક અત્યંત સંવેદનશીલ વિસ્તાર હોવાથી ત્યાં સંપૂર્ણ સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આ હિંસામાં 110 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાં કેટલાકના માથા પર ગંભીર ઈજાઓ છે અને હાથે ફ્રેક્ચર થયા છે. અનેક જગ્યાએ પથ્થરમારો થયો હતો અને પોલીસકર્મીઓને નિશાન બનાવાયા હતા. આ મામલે તમામ સીસીટીવી ફૂટેજ અને વિડિયો એકત્ર કરીને તપાસ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશની શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થા પર અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે દેશની ટેસ્ટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે તૂટી ચૂકી છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે દેશના વિદ્યાર્થીઓની માફી માગવાની, પ્રદર્શનકારીઓ પર થઈ રહેલી પોલીસ કાર્યવાહી તત્કાલિક અટકાવવાની તેમજ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગૃહ પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. વિપક્ષ દ્વારા આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરે રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદથી સીધા RML હોસ્પિટલ પહોંચ્યા છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત છે. તેઓ CJP ના વિરોધ પ્રદર્શન અને પોલીસ સાથેના ઘર્ષણમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુલાકાત લઈ રહ્યા છે. વિપક્ષી નેતાઓની આ મુલાકાતથી આંદોલન હવે વધુ રાજકીય રંગ પકડી રહ્યું છે.
દિલ્હીમાં ચાલી રહેલા CJP વિરોધ પ્રદર્શન અને રાજકીય ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક નવો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સાંસદ કંગના રણૌતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, "સંસદ ભવનની અંદર અમે બધા ડરેલા હતા કે ક્યાંક ભીડ હુમલો ન કરી દે. પરંતુ, દિલ્હી પોલીસ ઢાલ બનીને મજબૂતાઈથી ઊભી રહી." સંસદની સુરક્ષા અને અંદરના તણાવપૂર્ણ માહોલને લઈને તેમનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકમાં NEET પરીક્ષાનો મુદ્દે સ્પષ્ટ કર્યું છે કે સરકારે આ મામલે તાત્કાલિક અને કડક પગલાં લીધા છે. PM મોદીએ જણાવ્યું કે આ કેસમાં જવાબદાર તમામ લોકોને ઉત્તરદાયી ઠેરવવામાં આવ્યા છે, જરૂરી તમામ કદમ ઉઠાવવામાં આવ્યા છે અને જ્યાં પણ જરૂર પડી ત્યાં પુનઃ પરીક્ષા પણ કરાવવામાં આવી છે. સરકાર આ મામલે કોઈપણ દોષીને બક્ષવાના મૂડમાં નથી અને પારદર્શક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કટીબદ્ધ છે.
અરવિંદ કેજરીવાલ આજે RML હોસ્પિટલમાં ઘાયલોને મળશે; 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે CJP પ્રદર્શન દરમિયાન ઘાયલ થયેલા લોકો અને વિદ્યાર્થીઓની મુલાકાત લેવા માટે RML હોસ્પિટલ જશે. આ મુલાકાત પહેલા તેઓ આજે સવારે 11:00 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધવાના છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું છે કે, "મોદી સરકાર દ્વારા ગઈકાલે વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા દમન વિરુદ્ધ આજે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ અને ત્યારબાદ ઘાયલોને મળવા RML હોસ્પિટલ જઈશ."
૨૧ જુલાઈ ૨૦૨૬ લાઈવ: દિલ્હીમાં CJP (કોકરોચ જનતા પાર્ટી)નું સંસદ કૂચ આંદોલન. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે બેઠક છતાં ધરણા ચાલુ, સોનમ વાંગચુકની ભૂખહડતાળ અને પોલીસ કાર્યવાહીના તાજા સમાચાર.
સફદરજંગ હોસ્પિટલે મંગળવારે સવારે સોનમ વાંગચુકનું નવું હેલ્થ બુલેટિન જારી કર્યું છે. બુલેટિન મુજબ, સફદરજંગ હોસ્પિટલ અને એઈમ્સ (AIIMS) ના વિશેષજ્ઞ ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. હાલમાં તેમના વાઇટલ પૅરામીટર્સ સ્થિર છે, પરંતુ બ્લડ શુગરનું સ્તર હજુ પણ નીચું જળવાઈ રહ્યું છે. તેમનું સીરમ પોટેશિયમ લેવલ 3.2 mEq/L નોંધાયું છે, જ્યારે શરીરમા એનેમિયા અને ઓછો લ્યુકોસાઇટ કાઉન્ટ ની સમસ્યા યથાવત છે. વાંગચુકને હાલ ORS અને ઓરલ પોટેશિયમ આપવામાં આવી રહી હોવાના અહેવાલ છે. જોકે, ડૉક્ટરોની વારંવારની સમજાવટ છતાં તેઓ ડ્રિપ (IV fluids) અને ગ્લુકોઝ લેવાથી ઇનકાર કરી રહ્યા છે. લાંબા સમયના અનશનના કારણે તેમના શરીરમાં ડિહાઇડ્રેશન અને ભારે શારીરિક નબળાઈ છે, જેને ધ્યાનમાં રાખીને ડૉક્ટરો દ્વારા સતત કડક મેડિકલ દેખરેખ રાખવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના DGP ને સત્તાવાર પત્ર લખ્યો છે. આ પત્રમાં અપીલ કરવામાં આવી છે કે જંતર-મંતર પર થઈ રહેલા પ્રદર્શનમાં વધુ ભીડ એકત્ર થતી અટકાવવા માટે રાજ્યોએ જરૂરી પગલાં લેવા. રાજ્યોના પોલીસ પ્રશાસને આ પત્રને જિલ્લા સ્તરીય અધિકારીઓ તરફ મોકલી દીધો છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે જો તેમના રાજ્યોમાંથી કોઈ વ્યક્તિ કે જૂથ પ્રદર્શનમાં સામેલ થવા માટે દિલ્હી તરફ આવી રહ્યું હોય, તો તેમને રાજ્યની સરહદ પર જ રોકવામાં આવે અને જરૂર પડ્યે સમજાવીને પાછા મોકલવામાં આવે. હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું હોવાથી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે, તેથી સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
સોમવારે પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને ઘર્ષણ બાદ પોલીસે જંતર-મંતર ખાલી કરાવ્યું હતું. જોકે, સોમવારની સાંજે CJP ના અધ્યક્ષ અભિજીત દીપકે નિર્ધારિત પ્રદર્શન સ્થળથી લગભગ 500 મીટર દૂર કેરળ હાઉસની બહાર ધરણા પર બેસી ગયા હતા. હવે મંગળવારે સવારે પ્રદર્શનકારીઓ ફરી એકવાર નિર્ધારિત પ્રદર્શન સ્થળ (જંતર-મંતર) પર પાછા ફર્યા છે. હાલમાં આ ધરણા સ્થળ પર પ્રદર્શનકારીઓ ઉપસ્થિત છે અને પરિસ્થિતિ પર પોલીસની બારીકાઈથી નજર છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, CJP ના 'સંસદ ચલો' માર્ચ દરમિયાન થયેલી ભીષણ હિંસા અને પ્રદર્શનકારીઓના આક્રમક રવૈયાને કારણે અનેક વરિષ્ઠ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓ સહિત 118 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ ઉપરાંત, આ ઘર્ષણમાં લગભગ 60 પ્રદર્શનકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. ઉપદ્રવીઓ દ્વારા ઉગ્ર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને 15 થી 20 સરકારી વાહનો તથા જાહેર મિલકતોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસે આશરે 70 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. પોલીસ પર હુમલો કરવા, ઉપદ્રવ મચાવવા અને તોડફોડ કરવાના આરોપસર ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ પ્રાથમિકી (FIR) નોંધવામાં આવી છે અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દિલ્હીના કિસાન ઘાટ પર વિરોધ પ્રદર્શન અને રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. સંભવિત ભીડ અને સુરક્ષા વ્યવસ્થાઓને કારણે સવારે 8:30 વાગ્યાથી જરૂરિયાત મુજબ ટ્રાફિક પ્રતિબંધો અને રૂટ ડાયવર્સન લાગુ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સત્યાગ્રહ માર્ગ, વેલોડ્રોમ રોડ, રાજઘાટ ડીટીસી ડિપો રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનોની અવરજવર ભારે પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત દિલ્હી ગેટ, રાજઘાટ ક્રોસિંગ, ગુરુ નાનક ચોક, શાંતિવન ચોક અને આઈપી ફ્લાઈઓવર પર પણ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. પ્રશાસને એરપોર્ટ કે રેલવે સ્ટેશન તરફ મુસાફરી કરી રહેલા નાગરિકોને ટ્રાફિકજામથી બચવા માટે સમય કરતાં વહેલા નીકળવા અને જીપીએસ નેવિગેશન એપ્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. વાહનચાલકોને ડ્યુટી પર તૈનાત પોલીસકર્મીઓના માર્ગદર્શનનું પાલન કરવા અને વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ વિસ્તારોમાં જ ઊભા રાખવા અપીલ કરવામાં આવી છે.




