મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરોને જોડતા, શહેરોમાંથી પસાર થતાં રસ્તાઓને વિકાસ પથ અન્વયે અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે 822 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત વિકાસ પથ યોજનામાં આવા 233 કિલોમીટર લંબાઇના 91 માર્ગોને જરૂરિયાત અનુસાર કામગીરી કરીને અદ્યતન બનાવવામાં આવશે.
શહેરી વિકાસ વર્ષ-2025માં મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યમાં શહેરોને જોડતા - શહેરોમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના હોય તેવા માર્ગોનો આ વિકાસ પથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તદઅનુસાર, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વિકાસપથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોની જરૂરિયાત અનુસાર રસ્તાને પહોળા કરવા, ઈલેક્ટ્રિક પોલ, અદ્યતન રોડ ફર્નિચર, ફૂટપાથ, સ્ટ્રોમવોટર ડ્રેઈન, સ્ટ્રીટ લાઈટ, સી.સી. રોડ, રેલીંગ, જંકશન ડેવલોપમેન્ટ, બસ-બે, મીડિયન બ્યુટીફીકેશન તથા રોડ સેફટી સાથે મજબૂતીકરણ કરીને કરવામાં આવશે.
અદ્યતન સુવિધાસભર કરવા 822 કરોડ રૂપિયા મંજૂર કર્યા
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ 822 કોરોડની માતબર રકમમાંથી વિકાસપથ અન્વયે શહેરના રસ્તાઓ સુદ્રઢ, સુંદર, મજબૂત અને સુવિધાયુકત થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થશે અને શહેરી જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એટલું જ નહિ, વાહન વ્યવહારમાં સુરક્ષા વઘશે, ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને મુસાફરીનો સમય ઘટતાં ઇંઘણની પણ બચત થશે. અવાજ અને હવાનું પ્રદૂષણ ઘટતા પર્યાવરણ પર સકારાત્મક અસર થશે, સ્વચ્છ અને વ્યવસ્થિત રસ્તાઓથી જાહેર પરિવહનની સેવાઓ પણ વધુ અસરકારક બનશે.






