Home Gujarat Chief Minister Meets The Injured And Relatives Of Ahmedabad Plane Crash

અમદાવાદ વિમાન દુર્ઘટનાના ઈજાગ્રસ્તો અને સ્વજનોને મળ્યા મુખ્યમંત્રી : CM ભૂપેન્દ્ર પટેલે સારવાર લઈ રહેલાં ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી, અધિકારીઓ સાથે બેઠક યોજી કરી સ્થિતિની સમીક્ષા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના ઈજાગ્રસ્તો અને સ્વજનોને મળ્યા મુખ્યમંત્રી
Published by: OBS Bureau
Last Updated: Jun 16, 2025, 08:33 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને સ્વજનોને સાંત્વના પાઠવી
રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર કામગીરીની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી
DNA નમૂના મેપિંગની પ્રક્રિયા તથા ઇજાગ્રસ્તોને ઝડપી રાહત અને પીડિતો તથા તેમના પરિવારોને જરૂરી સહાય સુનિશ્ચિત કરવા નિર્દેશો આપ્યા


CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાના પીડિતોને મળી તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને હતભાગીઓના પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રાહત-બચાવની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યાં હતાં.

અમદાવાદ ખાતે ગત તા. ૧૨ જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સતત ખડેપગે રહીને ઇજાગ્રસ્તોને સારવાર આપવાની તેમજ હતભાગીઓના ડીએનએ મેપિંગથી માંડીને તેમના નશ્વર દેહ પરિજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

દરમિયાન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ હોસ્પિટલના D2 બ્લોક ખાતે કાર્યાન્વિત કરાયેલા વેરિફિકેશન રૂમની મુલાકાત લીધી હતી તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ DNA નમૂના મેપિંગની સમગ્ર પ્રક્રિયા અને તેની બારીકીઓથી માહિતગાર થયા હતા અને અધિકારીઓને ઇજાગ્રસ્તોને ઝડપી રાહત, સંપૂર્ણ તપાસ અને પીડિતો તથા તેમના પરિવારોને વ્યાપક સહાય સુનિશ્ચિત કરવા જરૂરી નિર્દેશો આપ્યા હતા.

ત્યાર બાદ મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રાહત-બચાવની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી. જ્યાં તેમણે તમામ ઇજાગ્રસ્તોને આવશ્યક તમામ સેવાઓ અને હતભાગીઓના પરિવારજનોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ સમયે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, સચિવઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now