ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણીની સ્મૃતિવંદના માટે આજે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વિજય રૂપાણીના અચાનક અવસાનથી રાજકીય અને સમાજ જીવનમાં શોકની લહેર છે. પ્રાર્થના સભામાં મુખ્યમંત્રીએ વિજયભાઈના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી તથા સમગ્ર શોકસંતપ્ત પરિવારને સંવેદના પાઠવી હતી અને દુ:ખની ઘડીએ ધૈર્ય ધારણ કરવા માટે આશ્વાસન પણ આપ્યું હતું.
રાજ્યના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તથા વિજય રૂપાણી સાથે સંકળાયેલા અનેક લોકો પણ તેમના અંતિમ દર્શન અને સ્મરણ માટે ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીના નિધનથી ભાજપ તથા સમગ્ર ગુજરાતમાં ભારે ખોટ અનુભવી રહી છે.





