Rajkot Chemist Association Decision : રાજકોટ કેમિસ્ટ એસોસિએશને શહેરમાં વધતી ડુપ્લિકેટ અને નકલી દવાઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દર્દીઓની સુરક્ષા અને લોકહિતને પ્રથમ સ્થાન આપતાં હવે રાજકોટના તમામ કેમિસ્ટોને રાજકોટ બહારના સ્ટોકિસ્ટ પાસેથી દવાઓ ખરીદવા પર રોક લગાવવામાં આવી છે. એસોસિએશનનું માનવું છે કે બહારથી આવતી દવાઓમાં નકલી હોવાની શક્યતા વધુ રહેતી હોવાથી આ પગલું અત્યંત જરૂરી બન્યું હતું.
ડુપ્લિકેટ દવાઓ અટકાવવા મહત્વનો નિર્ણય
નકલી દવાઓને રોકવા માટે રાજકોટ કેમિસ્ટ એસોસિએશન હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. આ દિશામાં ડુપ્લિકેટ દવાઓ સામે ખાસ જનજાગૃતિ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કેમિસ્ટોને સાચી અને નકલી દવાઓ વચ્ચે ફરક સમજાવવા, દવા બજારમાં ચેકિંગ કરવા અને જરૂર પડે ત્યાં કાર્યવાહી કરવા માટે કાર્ય કરશે. સાથે જ કેમિસ્ટો અને દવા વેપારીઓમાં જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
આરોગ્ય સાથે ચેડો ન થાય તે માટે ખાસ ઝુંબેશ
એસોસિએશન દ્વારા સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે રાજકોટના કેમિસ્ટ માત્ર અધિકૃત અને માન્ય સ્ટોકિસ્ટ પાસેથી જ દવાઓ ખરીદી શકશે. જો કોઈ સભ્ય આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા ગેરરીતિમાં સંડોવાયેલો મળશે, તો તેની સામે સંસ્થાકીય સ્તરે કડક પગલાં લેવામાં આવશે. એસોસિએશને આ મુદ્દે કોઈ પણ પ્રકારની ઢીલાશ ન રાખવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. દર્દીઓના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનો ચેડો ન થાય અને લોકોને નકલી દવાઓથી બચાવી શકાય, તે માટે આ નિર્ણય લોકહિતમાં લેવાયો હોવાનું એસોસિએશનનું કહેવું છે. આ સાથે રાજકોટ દવા બજારમાં ડુપ્લિકેટ દવાઓ સામે ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે.





















