West Bengal News: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો આવ્યાંના ગણતરીના કલાકોમાં જ ભાજપના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા સુવેન્દુ અધિકારીના પર્સનલ સ્ટાફ તરીકે છેલ્લાં પાંચ વર્ષથી કામ કરતા ચંદ્રનાથને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામ (બારાસત પ્રદેશ) માં બુધવારે રાત્રે ચંદ્રનાથને ઉપરા ઉપરી ગોળી મારી દેવામાં આવી હતી.
બાઈક પર આવેલાં અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવલાં અંધાધૂંધ ગોળીબારમાં ચંદ્રનાથ રથ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના પછી તરત જ સ્થાનિક લોકોની મદદથી તેમને નજીકના ડાયવર્સિટી નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. ચંદ્રનાથ રથની મોતને લઈને રહસ્ય સતત ઘેરાતું જઈ રહ્યું છે અને તેમની હત્યાના કારણોને લઈને પણ અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. જેમાં TMCનો હાથ હોવાની આશંકા ખુદ સુવેન્દુ અધિકારીએ વ્યક્ત કરી છે. સાથે આ કેસની તત્કાલ અને વિશષ તપાસની પણ તેમણે માંગ કરી છે.
TMC પર જેની હત્યાનો આરોપ લાગ્યો તે ચંદ્રનાથ રથ કોણ હતા?
એરફોર્સમાંથી રિટાયર થયા પછી સુવેન્દુ અધિકારીના અંગત સ્ટાફ (PS) તરીકે કામ કરતા હતા ચંદ્રનાથ રથ. આ પહેલાં ચંદ્રનાથ અને તેમનો પરિવાર તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો. તેની માતા પંચાયત સમિતિની સદસ્ય હતી. જ્યારે સુવેન્દુ ભાજપમાં જોડાયા ત્યારે ચંદ્રનાથે પણ પાર્ટી બદલીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. વર્ષ 2021થી સતત સુવેન્દુના જમણા હાથ તરીકે કામ કરતા હતા ચંદ્રનાથ. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી સુવેન્દુની સાથે કામ કરતા હતા. સુવેન્દુ અધિકારી ભાજપના દિગ્ગજ નેતા છે અને બંગાળના ભાવિ મુખ્યમંત્રી તરીકે પણ તેમનું નામ સૌથી વધુ ચર્ચામાં છે.
પશ્ચિમ બંગાળમાં BJP નેતા Suvendu Adhikari ના નજીકના સહયોગી અને વ્યક્તિગત સહાયક ચંદ્રનાથ રથની હત્યા બાદ હવે કેસ માત્ર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન પૂરતો મર્યાદિત રહ્યો નથી. હત્યા પાછળ રાજકીય કાવતરું, ગુપ્ત દસ્તાવેજો અને કથિત ભ્રષ્ટાચારના ખુલાસાની અટકળોએ સમગ્ર બંગાળની રાજનીતિમાં ભારે ઉથલપાથલ મચાવી છે. ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા થયા બાદ BJP તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની પાસે એવા મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા, જે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક નેતાઓના કથિત ગેરકાયદેસર કાર્યો અને ભ્રષ્ટાચારને બહાર લાવી શકે એવા હતા. જોકે આ દાવાઓની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, છતાં રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચા તેજ બની ગઈ છે.
શું હતા તે દસ્તાવેજો?
અહેવાલો અનુસાર ચંદ્રનાથ રથ છેલ્લા કેટલાક સમયથી કેટલાક રાજકીય અને આર્થિક વ્યવહારો સંબંધિત માહિતી એકત્ર કરી રહ્યા હતા. BJP નેતાઓનો દાવો છે કે તેમની પાસે એવા દસ્તાવેજો અને ડિજિટલ ડેટા હતા જેમાં સ્થાનિક સ્તરે કથિત ગેરરીતિઓ, ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડ અને રાજકીય પ્રભાવના દુરુપયોગના સંકેતો હતા. કેટલાક સૂત્રોનું કહેવું છે કે આ દસ્તાવેજોમાં ચૂંટણી દરમિયાન થયેલા કથિત દબાણ, સ્થાનિક સ્તરે ગેરરીતિપૂર્ણ ફંડિંગ અને કેટલાક સરકારી પ્રોજેક્ટ સાથે જોડાયેલી વિગતો સામેલ હોઈ શકે છે. જોકે તપાસ એજન્સીઓએ અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. આ દાવાઓ વચ્ચે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે શું આ દસ્તાવેજો ખરેખર હત્યાનું કારણ બની શકે? કે પછી રાજકીય દબાણ વચ્ચે આ કેસને નવી દિશા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
BJPના ગંભીર આક્ષેપ
Suvendu Adhikari એ આ હત્યાને “રાજકીય રીતે પ્રેરિત” ગણાવી ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે ચંદ્રનાથ રથ લાંબા સમયથી કેટલીક સંવેદનશીલ માહિતી એકત્ર કરી રહ્યા હતા અને તેઓ કેટલાક મોટા ખુલાસા કરવાની તૈયારીમાં હતા. BJPના કેટલાક નેતાઓએ સીધો આરોપ મૂક્યો છે કે આ હત્યા પાછળ “સત્ય બહાર ન આવે” તેવો પ્રયાસ હોઈ શકે છે. જોકે પક્ષે હજુ સુધી કોઈ ચોક્કસ દસ્તાવેજ જાહેર કર્યા નથી. આ કારણે વિરોધ પક્ષો BJPના દાવાઓને રાજકીય રંગ આપવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે હત્યા દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ તપાસ પૂર્ણ થયા પહેલા રાજકીય આરોપો લગાવવું યોગ્ય નથી. TMCએ BJP પર ઘટનાનો રાજકીય લાભ લેવા પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
તપાસ હવે કઈ દિશામાં?
પોલીસ અને તપાસ એજન્સીઓ હવે ચંદ્રનાથ રથના મોબાઇલ ફોન, લેપટોપ, ઈ-મેલ અને ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસની તપાસ કરી રહી છે. તપાસમાં એ પણ જોવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા દિવસોમાં કોના સંપર્કમાં હતા અને શું ખરેખર કોઈ સંવેદનશીલ માહિતી તેમની પાસે હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ ટીમે કેટલાક ડિજિટલ ડેટા રિકવર કર્યા છે, પરંતુ તેમાં શું છે તેની સત્તાવાર માહિતી હજુ બહાર આવી નથી. સાથે જ રથની હલચલ પર નજર રાખવામાં આવી રહી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ માટે હવે સૌથી મોટો પડકાર એ છે કે હત્યા પાછળ વ્યક્તિગત દુશ્મની, ક્રિમિનલ નેટવર્ક કે રાજકીય કારણ-કયું મુખ્ય કારણ હતું તે સ્પષ્ટ કરવું.
બંગાળની રાજનીતિમાં વધતું તણાવ
પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય હિંસા અને ટાર્ગેટેડ હુમલાઓના આક્ષેપો સતત થતા રહ્યા છે. ચૂંટણી પછી અનેક વખત BJP અને TMC વચ્ચે અથડામણ, હુમલા અને રાજકીય બદલો લેવાના આરોપો સામે આવ્યા છે. ચંદ્રનાથ રથ હત્યા કેસમાં “ગુપ્ત દસ્તાવેજો”નો એંગલ ઉમેરાતા મામલો વધુ સંવેદનશીલ બની ગયો છે.
હવે તમામ નજરો તપાસ એજન્સીઓ પર છે કે તેઓ આ દાવાઓ પાછળનું સત્ય બહાર લાવી શકે છે કે નહીં. જો તપાસમાં ખરેખર કોઈ રાજકીય અથવા આર્થિક કૌભાંડ સંબંધિત પુરાવા સામે આવે તો આ કેસ પશ્ચિમ બંગાળની રાજનીતિ માટે મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે છે.





