Government's big decision in the telecom sector: કેન્દ્ર સરકારે દેવાના બોજ હેઠળ દબાયેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા (Vi) ને ખૂબ મોટી રાહત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કંપનીના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) પેકેજને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ટેલિકોમ માર્કેટમાં કોમ્પિટિશન જાળવી રાખવાનો અને સરકારના 49% ભાગનું મૂલ્ય સુરક્ષિત કરવાનો છે.
ચુકવણીનું નવું શેડ્યૂલ
સરકારે વોડાફોન-આઈડિયાના ₹87,695 કરોડના AGR લેણાંની ચુકવણી હાલ પૂરતી સ્થગિત રાખી છે. નવી શરતો મુજબ, આ રકમની ચુકવણી નાણાકીય વર્ષ 2031-32 થી શરૂ થશે અને 2040-41 સુધી ચાલશે. જોકે, 2017-18 અને 2018-19 ના લેણાંમાં કોઈ ફેરફાર કરાયો નથી, જેની ચુકવણી કંપનીએ 2025 થી 2031 વચ્ચે નિર્ધારિત હપ્તામાં કરવાની રહેશે.
બજારમાં કોમ્પિટિશન જાળવવું
વોડાફોન-આઈડિયામાં સરકાર સૌથી મોટી શેરધારક હોવાથી આ નિર્ણય લેવો અનિવાર્ય હતો. સરકાર ઈચ્છે છે કે, દેશનું ટેલિકોમ માર્કેટ માત્ર બે કંપનીઓ (Jio અને Airtel) વચ્ચે મર્યાદિત ન રહી જાય. આ રાહત પેકેજથી કંપનીને 5G રોલઆઉટ અને નેટવર્ક અપગ્રેડેશન માટે જરૂરી ભંડોળ એકત્ર કરવામાં અને રોકડ પ્રવાહ સુધારવામાં મોટી મદદ મળશે.
રોકાણકારો અને નિષ્ણાતોના મતે
સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2025 માં આપેલા ચુકાદા પછી આ રાહતની આશા સેવાઈ રહી હતી. નિષ્ણાતોના મતે, ચુકવણી પર મળેલા વધારાના પાંચ વર્ષના 'Moratorium' થી કંપનીને ફરી પોતાનું સ્થાન મેળવવાની તક મળશે. હવે કંપની નવા રોકાણકારો પાસેથી કેટલી ઝડપથી ફંડ મેળવી શકે છે અને પોતાના ગ્રાહકોની સરેરાશ આવક (ARPU) કેટલી વધારે છે, તેના પર ભવિષ્યનો આધાર રહેશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹20,668 કરોડના પ્રોજેક્ટ્સ
ટેલિકોમ ઉપરાંત, કેબિનેટે મહારાષ્ટ્ર અને ઓડિશામાં કનેક્ટિવિટી વધારવા માટે બે મોટા રોડ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. જેમાં મહારાષ્ટ્રમાં ₹19,142 કરોડના ખર્ચે 374 કિમી લાંબો નાસિક-સોલાપુર ગ્રીનફિલ્ડ કોરિડોર બનાવવામાં આવશે. આ છ-લેન હાઇવે ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રો વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવશે.
પ્રાદેશિક વિકાસ અને નવી કનેક્ટિવિટી
સરકારે ઓડિશામાં નેશનલ હાઇવે 326 (NH-326) ના 206 કિમીના પટ્ટાને પહોળો કરવા માટે ₹1,526 કરોડ ફાળવ્યા છે. આ પ્રોજેક્ટથી રાજ્યના આંતરિક વિસ્તારોમાં પરિવહન સુવિધા સુધરશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. આ બંને પ્રોજેક્ટ્સ દેશની માળખાગત સુવિધાને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય દર્શાવે છે.





















