વડોદરા: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની કામગીરી હવે વડોદરા શહેરમાં તેજ ગતિએ ચાલી રહી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે અકોટા-દાંડિયાબજાર રેલવે ઓવર બ્રિજ પર ગડર લોન્ચિંગની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન નાગરિકોની સુરક્ષા અને ટ્રાફિકની સુચારૂ વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને આ બ્રિજને તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, અકોટા-દાંડિયાબજાર રેલવે ઓવર બ્રિજ તથા તેની નીચે આવેલો રેલવે અંડરપાસ તા. 27/03/2026 થી તા. 08/04/2026 સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરી પ્રોજેક્ટની જરૂરિયાત મુજબ હોવાથી શહેરીજનોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે નિર્ણય
L & T દ્વારા હાથ ધરવામાં આવેલા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટના C-5 પેકેજ હેઠળ સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે. પ્રોજેક્ટ મેનેજરની રજૂઆતને ધ્યાને રાખીને ટ્રાફિક વ્યવસ્થામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 27 માર્ચથી શરૂ થનારી આ કામગીરી તા. 8 એપ્રિલ સુધી અથવા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે, જેના કારણે અકોટા અને દાંડિયાબજારને જોડતો આ મુખ્ય માર્ગ બંધ રહેશે.
વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થાની વિગતો
બ્રિજ બંધ રહેવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે નીચે મુજબના વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે:
પ્રતિબંધિત માર્ગ: મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી અકોટા સોલાર બ્રિજ તેમજ અકોટા બ્રિજ ચાર રસ્તા થઈ અકોટા સોલાર બ્રિજ ઉપર થઈ મહારાણી નર્સિંગહોમ તરફ જઈ શકાશે નહીં.
વૈકલ્પિક માર્ગ-1: વાહનચાલકો જેલ રોડ થઈ ભીમનાથ નાકા અને સુર્યાપેલેસ હોટેલ ચાર રસ્તા થઈ જેતલપુર બ્રિજ ઉપરથી અવર-જવર કરી શકશે.
વૈકલ્પિક માર્ગ-2: મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા થઈ રાજમહેલ રોડ પરથી મોતીબાગ તોપ ત્રણ રસ્તા તરફ જઈ શકાશે.
વૈકલ્પિક માર્ગ-3: અકોટા ચાર રસ્તા થઈ મુજમહુડા સર્કલ તેમજ અલકાપુરી અગ્રસેન સર્કલ થઈને પણ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકાશે.
તંત્ર દ્વારા સૂચના અને અમલીકરણ
આ જાહેરનામું તમામ પ્રકારના વાહનોને લાગુ પડશે. જાહેરનામાની અમલવારી માટે એસ.ટી. ડેપો, આર.ટી.ઓ. કચેરી અને વિટકોસ શહેરી બસ સેવાને પણ જાણ કરવામાં આવી છે જેથી જાહેર પરિવહનને તે મુજબ ડાયવર્ટ કરી શકાય. પોલીસ તંત્ર દ્વારા લાઉડસ્પીકર અને વર્તમાનપત્રો દ્વારા આ અંગે બહોળી પ્રસિદ્ધિ કરવાના આદેશો અપાયા છે જેથી નાગરિકો અગાઉથી પોતાના રૂટનું આયોજન કરી શકે.






