Ahmedabad Crime News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એપ્રિલ મહિનામાં બનેલી બે માસૂમ બાળકીઓના મોતના નિપજવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુંછે. શરૂઆતમાં આ સમગ્ર મામલો 'ફૂડ પોઈઝનિંગ' અને ઢોસાના બગડેલા ખીરાનો લાગતો હતો. પરંતુ, પોલીસ અને FSLની ઝીણવટભરી તપાસમાં કંપારી છૂટી જાય તેવો ઘટસ્ફોટ થયો છે. ચાંદખેડાના ચકચારી ઢોસા-ખીરા કાંડમાં FSL રિપોર્ટમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે જે સાંભળીને કોઈપણ વ્યક્તિના રુંવાડા ઊભા થઈ જાય.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની ૩ મહિનાની દિકરી રાહા અને ૪ વર્ષની દિકરી મીશ્રીનું મોત નિપજ્યું છે. પહેલાં માતા-પિતા અને પરિવારે આક્ષેપ કરેલો કે બહારથી લાવવામાં આવેલું ઢોસાનું ખીરું ખાવાને કારણે તેમના પરિવારની તબિયત બગડી હતી અને તેના કારણો બે બાળકીઓનો જીવ ગયો છે. ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં એફએસએલના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય છે. જેમાં સામે આવ્યું છેકે, બાળકીઓના મોત કોઈ બગડેલા ખોરાકથી નહીં, પરંતુ તેની પાછળ બીજું કોઈ કારણ હોઈ શકે એવી શંકા ઉભી થઈ છે.
ઢોસા-ખીરા કાંડ કેસની ઝીણવટભરી તપાસ દરમિયાન FSLના રિપોર્ટમાં ઊંઘની ગોળીઓની વાત સામે આવતા પોલીસના પણ હોંશ ઉડી ગયા છે. આ રિપોર્ટ સામે આવ્યાં બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતનું રહસ્ય વધુ ગુંચવાયું છે. ફૂડ પોઈઝનિંગની મનઘડત કહાની અને ઘટનાક્રમ ઉભો કરાયો હોવાની પણ પોલીસને આશંકા છે. પોલીસ હવે આ કેસમાં હત્યા કે આત્મ હત્યાની થિયેરી પર પણ તપાસ કરી રહી છે. ઢોસાનું ખીરું લાવ્યા અને તેના સેવન બાદ આ ઘટના બની હોવાની માતા-પિતા અને પરિવારની વાત પર હવે પુરી રીતે શંકા-કુશંકાઓ ઉભી થઈ છે.
આ પણ વાંચો: ચાંદખેડા 'ઢોસાનું ખીરું' કેસમાં ચોંકાવનારો વળાંક : FSL તપાસ વચ્ચે ડોક્ટરનું મોટું નિવેદન
આ ઘટનામાં અમદાવાદના ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા અને વીમા એજન્ટ તરીકે કામ કરતા વિમલ પ્રજાપતિના પરિવાર પર અણધારી આફત આવી પડી હોવાનું ચિત્ર શરૂઆતમાં ઊભું થયું હતું. પોલીસ સમક્ષ પરિવારે એવી કહાની રજૂ કરી હતી કે, ૧ એપ્રિલના રોજ વિમલ સ્થાનિક 'ઘનશ્યામ ડેરી' માંથી ઢોસાનું ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ આખા પરિવારને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું.
કથિત રીતે, ૨ એપ્રિલે વિમલ પ્રજાપતિના પત્ની ભાવનાબેન પ્રજાપતિ અને ૪ વર્ષની દીકરી મીશ્રીની તબિયત બગડી. ત્યારબાદ ૪ એપ્રિલના રોજ માત્ર ૩ મહિનાની માસૂમ રાહાનું મોત નીપજ્યું. રાહાના મોત બાદ પરિવારે પોલીસને જાણ કર્યા વિના જ તેની અંતિમવિધિ પતાવી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ ૫ એપ્રિલે મોટી દીકરી મીશ્રીની તબિયત વધુ લથડતા તેને હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ કરુણ મોત નીપજ્યું. બે બાળકીઓના ઉપરાછાપરી મોત બાદ આઘાત અને બીમારીનું કારણ દર્શાવીને માતા-પિતા પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા.
આ પણ વાંચો: રવિવારની મિજબાની માતમમાં ફેરવાઈ! : એક જ પરિવારના 4 સભ્યો ખીરાનો શિકાર, 2 માસૂમના જીવ હોમાયા
શંકાના વાદળો અને વણઉકેલ્યા સવાલો
પોલીસ તપાસ દરમિયાન જ્યારે ઘનશ્યામ ડેરીના ખીરાના સેમ્પલ લેવાયા, ત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી. તે જ દિવસે અન્ય ૨૦૦ જેટલા ગ્રાહકોએ પણ એ જ ખીરું ખરીદ્યું હતું, પરંતુ કોઈને પણ ફૂડ પોઈઝનિંગ કે અન્ય બીમારીની અસર થઈ નહોતી. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, જો ખીરું ખરેખર ઝેરી હોત, તો અન્ય પરિવારો પણ તેનો શિકાર કેમ ન બન્યા?
મહત્વપૂર્ણ વાત એ છે કે.. વિશ્લેષણ કરીએ તો, માત્ર ૪ સભ્યોના પરિવાર માટે (જેમાં બે તો નાની બાળકીઓ હતી) એકસાથે ૩ કિલો ઢોસાના ખીરાની જરૂર કેમ પડી? સૌથી મોટો અને મહત્વનો સવાલ એ હતો કે, જો ઢોસા ખાધા બાદ માતા બીમાર પડી, તો માત્ર અઢીથી ત્રણ મહિનાની બાળકી રાહા કે જે ફક્ત માતાનું ધાવણ જ લેતી હતી, તેને આટલી ગંભીર અસર કેવી રીતે થઈ ગઈ?
૪ એપ્રિલે રાહાના મોત બાદ પોલીસને જાણ કર્યા વિના જ ઉતાવળમાં મૃતદેહની અંતિમવિધિ કેમ કરી દેવાઈ? ૫ એપ્રિલે મોટી દીકરીનું મોત થયું ત્યાં સુધી, એટલે કે ૫ દિવસ સુધી પરિવાર કેમ ચૂપ રહ્યો? આ તમામ કડીઓ સ્પષ્ટ ઈશારો કરી રહી હતી કે ઢોસાનું ખીરું માત્ર એક ઢાલ હતી અને સત્ય કંઈક અલગ જ છે.
આ પણ વાંચોઃ ચાંદખેડા 'ઢોસાનું ખીરું' કેસમાં નવો વળાંક : અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો
FSL રિપોર્ટમાં થયેલો મોટો ધડાકો
મામલાની ગંભીરતા જોતા ચાંદખેડા પોલીસે ૭ એપ્રિલના રોજ કડક કાર્યવાહી કરી નાની બાળકી રાહાના મૃતદેહને સ્મશાનમાંથી બહાર કઢાવીને (Exhumation) પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. બીજી તરફ, હોસ્પિટલમાં દાખલ માતા-પિતાના બ્લડ સેમ્પલ લઈને તેને પણ FSLમાં પૃથ્થકરણ માટે મોકલાયા. જ્યારે FSLનો લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો, ત્યારે આખો કેસ ૧૮૦ ડિગ્રી ફરી ગયો. રિપોર્ટમાં વૈજ્ઞાનિક ઢબે સાબિત થયું કે બાળકીઓના શરીરમાંથી અને માતા-પિતાના બ્લડ સેમ્પલમાંથી 'અલ્પ્રાઝોલમ' (Alprazolam) નામની દવાનું કન્ટેન્ટ અત્યંત મોટા પ્રમાણમાં મળી આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે, આ એક 'બેન્ઝોડાયઝેપાઈન' (Benzodiazepines) ડ્રગ છે, જેનો ઉપયોગ તબીબી ક્ષેત્રે તીવ્ર ચિંતા દૂર કરવા, ડિપ્રેશનની સારવાર અથવા ગાઢ ઊંઘ લાવવા માટે થાય છે. બીજી બાજુ, ઢોસાના ખીરાના સેમ્પલના રિપોર્ટમાં કોઈ જ ઝેરી તત્વ કે બેક્ટેરિયા મળ્યા ન હતા. આ પુરાવાઓએ સાબિત કરે છેકે, ખોરાકમાં ઊંઘની ભારે ગોળીઓનો ડોઝ સામેલ હતો. હવે આ ગોળીઓ કોણે ઈરાદાપૂર્વક ખોરાકમાં ભેળવી હતી અને શું હતો તેની પાછળનો ઈરાદો એ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરશે પોલીસ. હાલ મા મામલામાં બે બાળકીઓના માતા-પિતા પુરી રીતે શંકાના ઘેરામાં આવી ગયા છે.





