કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એક્શન મોડમાં જોવા મળી રહી છે અને તે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર સતત આક્રમક પ્રહારો કરી રહી છે. બંગાળના રાજકારણમાં હાલમાં સૌથી મોટો ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે મંગળવારે ટીએમસીના શક્તિશાળી મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીને તેમના ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરવા અંગે કોલકાતા નગર નિગમ (KMC) તરફથી નોટિસ ફટકારવામાં આવી. આ ઘટનાક્રમની વચ્ચે બુધવારે રાજ્ય ભાજપે એક ડગલું આગળ વધીને અભિષેક બેનર્જી સાથે કથિત રીતે જોડાયેલી ૪૩ બેનામી અને કિંમતી સંપત્તિઓની એક વિસ્તૃત યાદી જાહેર કરીને સમગ્ર બંગાળના રાજકીય વર્તુળોમાં સનસનાટી મચાવી દીધી છે.
બીજી તરફ, આ હાઈ-પ્રોફાઈલ નોટિસ મામલે મમતા બેનર્જીના અત્યંત નજીકના ગણાતા અને કોલકાતા નગર નિગમના મેયર ફિરહાદ હકીમે એવું કહીને પલ્લો ઝાડી દીધો છે કે, "આમી જાની ના..." એટલે કે મને આ અંગે કંઈ ખબર નથી. આ નોટિસ સોમવારે સાંજે અભિષેક બેનર્જીના નિવાસસ્થાન 'શાંતિ નિકેતન' પર ચોંટાડવામાં આવી હતી, જેમાં તેમની સાથે જોડાયેલી ૧૭ પ્રોપર્ટીના ગેરકાયદેસર અને અનધિકૃત હિસ્સાને તોડી પાડવા માટે માત્ર સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. ભાજપના આ પ્રહારથી ટીએમસી બેકફૂટ પર આવી ગઈ છે.
અભિષેક બેનર્જીની 43 સંપત્તિઓ ભાજપે કરી સાર્વજનિક: મમતા બેનર્જીનું પણ નામ!
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ૪૩ મિલકતોનો સીધો અથવા પરોક્ષ સંબંધ અભિષેક બેનર્જી સાથે છે. આ યાદીમાં ઘણી સંપત્તિઓ અભિષેકના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જેવા કે મુખ્યમંત્રી મમતા બેનર્જી, અમૃતા બેનર્જી, સબિતા બેનર્જી, મિનાતી બેનર્જી, બાણાની બેનર્જી અને સાયાની ઘોષ સાથે સંયુક્ત માલિકીની (Joint Ownership) હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ દસ્તાવેજોમાં કોલકાતાના વિવિધ વિસ્તારોમાં આવેલી અચલ સંપત્તિઓના અસેસી નંબર અને પાકા સરનામા પણ જાહેર કરાયા છે, જેમાં ગરિયાહાટ રોડ અને બેહલાની હાઈ-પ્રોફાઈલ પ્રોપર્ટીઝ સામેલ છે.
નોટિસથી મેયર અજાણ, કહ્યું- "નોટિસ આપવી એ કમિશનરનું કામ છે"
આ કથિત નોટિસ અંગે જ્યારે કોલકાતાના મેયર ફિરહાદ હકીમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટીએમસીની પ્રેસ કોન્ફરન્સમાં બચાવ કરતા કહ્યું કે, "મને આ પ્રકારની કોઈ નોટિસની જાણકારી નથી. સોશિયલ મીડિયા પર જે યાદી વાયરલ થઈ રહી છે તેની સત્યતા તપાસવી જરૂરી છે." "મેયરનું કામ માત્ર પોલિસી (નીતિ) બનાવવાનું છે, જ્યારે નગર નિગમના કમિશનર વહીવટી અને અમલીકરણના નિર્ણયો લેતા હોય છે. આવા કેસોમાં મેયર પાસે કોઈ પ્રત્યક્ષ અધિકાર હોતો નથી. આ નોટિસ કોર્પોરેશનના કમિશનરના કાર્યક્ષેત્ર હેઠળ જાહેર થઈ હોઈ શકે છે."
"જનતાને લૂંટનારા જેલના સળિયા પાછળ જશે" - ભાજપ મુખ્યમંત્રીની ખુલ્લી ચેતવણી
ભવાનીપુરમાં આયોજિત એક સભા દરમિયાન પશ્ચિમ બંગાળના ભાજપના મુખ્યમંત્રીએ ટીએમસીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમણે મ્યુનિસિપલ બાબતોના સચિવ અને કોલકાતા નગર નિગમના કમિશનર પાસેથી વધુ 4 મોટા નેતાઓની સંપત્તિની વિગતો મંગાવી છે.
મુખ્યમંત્રીએ સભામાં નામો જાહેર કરતા જણાવ્યું કે:
રાજુ નસ્કર (બેલેઘાટા): કથિત રીતે ૧૮ સંપત્તિના માલિક.
સોના પપ્પુ (કસ્બા): કથિત રીતે ૨૪ સંપત્તિના માલિક.
અભિષેક બેનર્જી: તેમની ૧૪ સંપત્તિઓ 'લીપ્સ એન્ડ બાઉન્ડ્સ' કંપનીના નામે, 4 પોતાના નામે અને ૬ પિતાના નામે નોંધાયેલી છે.
જાવેદ અહમદ ખાનના પુત્ર: કથિત રીતે ૯૦ સંપત્તિઓ ધરાવે છે.
તેમણે જનતાને સંબોધતા કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, "આ લોકો જનતાની કમાણી લૂંટનારા લૂંટારુઓ છે. અગાઉના ભ્રષ્ટ નેતાઓની જેમ આ તમામ ભ્રષ્ટ તત્વોને પણ ટૂંક સમયમાં જ ભાજપ સરકાર જેલના સળિયા પાછળ ધકેલી દેશે."






