Home Gujarat Bjp Anil Patel On Supreme Court Sir Observation

SIR મુદ્દે સુપ્રીમ કોર્ટના અવલોકનનું ભાજપે કર્યું સ્વાગત : કોંગ્રેસ પર સાધ્યું નિશાન

અમિત પટેલ
Published by: Chintan Chavda
Last Updated: May 27, 2026, 08:44 AM IST

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે સુપ્રીમ કોર્ટના તાજેતરના અવલોકન બાદ ગુજરાત ભાજપ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના પ્રવક્તા Dr. અનિલ પટેલએ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને અવલોકનનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવાનો અધિકાર ચૂંટણી પંચને સંવિધાન અને કાયદા દ્વારા આપવામાં આવ્યો છે.

ડો. અનિલ પટેલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદી અપડેટ અને શુદ્ધિકરણની પ્રક્રિયા ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં આવે છે. તેમણે આ મુદ્દે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોને આડકતરી ટકોર કરતા કહ્યું કે અનાવશ્યક હોબાળો અને ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ બંધ કરવો જોઈએ.

ચૂંટણી પંચના અધિકારો અંગે ભાજપનો દાવો

ભાજપ પ્રવક્તાએ દલીલ કરી હતી કે ભારતીય સંવિધાનના આર્ટિકલ 324 તથા Representation of the People Act, 1950 મુજબ ચૂંટણી પંચને મતદાર યાદીની વિશેષ સમીક્ષા અને સુધારાની પ્રક્રિયા હાથ ધરવાનો સંપૂર્ણ અધિકાર છે.

તેમણે કહ્યું કે મતદાર યાદીનું શુદ્ધિકરણ લોકશાહીની પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે અત્યંત જરૂરી છે. “વોટર લિસ્ટ અપડેટ એ ન્યાયી અને વિશ્વસનીય ચૂંટણી માટેનો પાયો છે,” એમ ડો. અનિલ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં આરોપ મૂક્યો કે કોંગ્રેસ અને કેટલાક વિપક્ષી પક્ષો હંમેશા આવી પ્રક્રિયાઓનો વિરોધ કરતા આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ ગેરકાયદે ઘુસણખોરીના મુદ્દે પણ વિપક્ષનો અભિગમ પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો: કચ્છના દરિયામાંથી ઝડપાયું અધધ...1000 કરોડનું કોકેઈન! : ATS-કોસ્ટગાર્ડના જોઇન્ટ ઓપરેશનમાં બ્રાઝિલથી ગુજરાત સુધીના ડ્રગ્સ સપ્લાયનો ભાંડો ફૂ્ટ્યો

કોંગ્રેસ અને વિપક્ષ પર આક્ષેપ

ડો. અનિલ પટેલે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરતી હતી, પરંતુ હવે વિપક્ષમાં બેસીને એ જ સંસ્થાઓ પર સવાલો ઉઠાવી રહી છે.

તેમણે કોંગ્રેસને સતત ચૂંટણી હાર અંગે “આત્મનિરીક્ષણ” કરવાની સલાહ પણ આપી હતી. ભાજપ પ્રવક્તાના જણાવ્યા મુજબ લોકતંત્રમાં સંવિધાનિક સંસ્થાઓ પર વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે અને ચૂંટણી પંચની પ્રક્રિયાઓને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.

તેમણે કેટલાક સામાજિક કાર્યકરો અને સંસ્થાઓ પર પણ પ્રહાર કરતા કહ્યું કે “યોગેન્દ્ર યાદવ જેવા અર્બન નક્સલીઓ અને ADR જેવી સંસ્થાઓ દેશનું રાજકીય વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહી છે.”

જોકે, ભાજપના આ નિવેદનો પર કોંગ્રેસ અથવા અન્ય વિપક્ષી પક્ષોની સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.

આ પણ વાંચો: સુરતમાં ઈન્સ્ટાગ્રામથી થયેલાં પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંત : માનસિક ત્રાસ અને બદનામીના ભયથી ભર્યું અંતિમ પગલું

SIR મુદ્દે રાજકીય ગરમાવો

મતદાર યાદીની વિશેષ સમીક્ષા (SIR) મુદ્દો છેલ્લા કેટલાક સમયથી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. વિપક્ષી પક્ષો ચૂંટણી પંચની કેટલીક કાર્યવાહી પર સવાલો ઉઠાવતા રહ્યા છે, જ્યારે ભાજપ અને સત્તારૂઢ પક્ષો ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા માટે તેને જરૂરી ગણાવી રહ્યા છે.

રાજકીય નિરીક્ષકો માને છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદી, ચૂંટણી પ્રક્રિયા અને સંવિધાનિક સંસ્થાઓની ભૂમિકા અંગે રાજકીય પક્ષો વચ્ચેનો વાદ-વિવાદ આગામી દિવસોમાં વધુ તેજ બની શકે છે.

હાલ સુપ્રીમ કોર્ટના અવલોકન બાદ રાજકીય નિવેદનોનો દોર શરૂ થયો છે અને વિવિધ પક્ષો પોતાના અભિપ્રાય જાહેર કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now