Home Gujarat Bhavnath Mahadev Temple Junagadh Management Controversy Shivgiri Bapu

જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી આવ્યું વિવાદમાં : સાધુઓની હકાલપટ્ટીથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉછ્યા અનેક સવાલો

ભવનાથ મહાદેવ મંદિરની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 03, 2026, 07:01 AM IST

જૂનાગઢ સ્થિત ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું ભવનાથ મહાદેવ મંદિર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. મંદિરના વહીવટ, ધાર્મિક પરંપરાઓના પાલન અને સાધુ સમાજની ભૂમિકાને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સાધુ શિવગીરી બાપુએ મંદિરની હાલની સ્થિતિ અંગે અનેક મુદ્દાઓ ઉઠાવતા તંત્ર અને વહીવટી વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.

મળતી માહિતી મુજબ છેલ્લા દસ મહિનાના ગાળામાં 3 સાધુઓને મંદિર પરિસરમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. આ મુદ્દે સાધુ સમાજમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. સાધુ શિવગીરી બાપુનું કહેવું છે કે ભવનાથ જેવા પ્રાચીન તીર્થસ્થાનમાં સાધુ પરંપરા અને આધ્યાત્મિક વાતાવરણને જાળવવા માટે જરૂરી સંવેદનશીલતા જોવા મળતી નથી.

તેમણે આક્ષેપ કર્યો છે કે હાલમાં મંદિરના વહીવટમાં સાધુ સમાજની ભાગીદારી ઘટી રહી છે અને સંસારિક લોકોનો પ્રભાવ વધ્યો છે. જેના કારણે મંદિરની મૂળ પરંપરાઓ અને ધાર્મિક વ્યવસ્થામાં ફેરફારો જોવા મળી રહ્યા હોવાનું તેઓ માને છે.

આ પણ વાંચો: પ્રાંતિજ પાલિકામાં બળવો શાંત પાડવા કમલમ્ સુધી બેઠક : અનિતા પંડ્યા યથાવત રહેવાના સંકેત

મંદિરના વહીવટ અને પરંપરા અંગે ઉઠ્યા પ્રશ્નો

ભવનાથ મંદિર માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના શૈવ સંપ્રદાય માટે મહત્વનું ધાર્મિક કેન્દ્ર માનવામાં આવે છે. દર વર્ષે મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. આવા મહત્વના ધાર્મિક સ્થળના વહીવટને લઈને ઊભા થયેલા પ્રશ્નો ભક્તોમાં પણ ચિંતા જગાવી રહ્યા છે.

સાધુ શિવગીરી બાપુના જણાવ્યા અનુસાર મંદિરની કેટલીક પરંપરાગત ધાર્મિક વિધિઓ અને વ્યવસ્થાઓ અગાઉની જેમ સુચારૂ રીતે થતી નથી. ભગવાનને અર્પણ થનારા ભોગ અને પૂજન વ્યવસ્થામાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

તેમણે દાવો કર્યો છે કે પૂજન સામગ્રી મેળવવા માટે કેટલાક ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મંદિર આવનારા શ્રદ્ધાળુઓને સરળતાથી ધાર્મિક સામગ્રી ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ વર્તમાન વ્યવસ્થામાં કેટલીક ખામીઓ જોવા મળી રહી હોવાનું તેઓ કહે છે.

આ પણ વાંચો: વડોદરા પાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો : ખોદકામના ખાડામાં ખાબકી કાર, યુવકે VMC કમિશનર પાસે માગ્યું વળતર

પાટોત્સવની ઉજવણી મુદ્દે પણ વિવાદ

ભવનાથ મંદિર સાથે જોડાયેલા મહત્વના ધાર્મિક કાર્યક્રમોમાં પાટોત્સવનું વિશેષ સ્થાન છે. જોકે આ વર્ષે પાટોત્સવની ઉજવણીને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. સાધુ શિવગીરી બાપુએ આક્ષેપ કર્યો છે કે મંદિર તંત્ર પાટોત્સવ જેવા મહત્વના ધાર્મિક પ્રસંગની યોગ્ય ઉજવણી કરવામાં નિષ્ફળ રહ્યું છે. ધાર્મિક પરંપરાઓ અને ઐતિહાસિક રીતે ચાલતા કાર્યક્રમો માત્ર વિધિ પૂરતા નથી, પરંતુ તે ભક્તોની આસ્થા અને મંદિરની ઓળખ સાથે પણ જોડાયેલા હોય છે. તેથી આવા કાર્યક્રમોની અવગણના અંગે ભક્તવર્ગમાં ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: વડોદરાના રાજકારણના ભીષ્મ પિતામહના નિધનથી સૌ કોઇ આઘાતમાં : PM મોદી અને અમિત શાહે વ્યક્ત કર્યો શોક, આવતીકાલે નીકળશે અંતિમ યાત્રા, જાણો રૂટ

હાલ પ્રાંત અધિકારીના હસ્તક વહીવટ

માહિતી અનુસાર હાલમાં ભવનાથ મંદિરનો વહીવટ સરકારી દેખરેખ હેઠળ પ્રાંત અધિકારીના હસ્તક સંચાલિત થઈ રહ્યો છે. વહીવટને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પગલાં લેવામાં આવતા હોય છે, પરંતુ હાલ સામે આવેલા આક્ષેપોને કારણે તંત્રની કામગીરી પણ ચર્ચામાં આવી છે. હાલ સુધી સંબંધિત વહીવટી તંત્ર અથવા અધિકારીઓ તરફથી આક્ષેપો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. બીજી તરફ, મંદિર સાથે સંકળાયેલા વિવિધ વર્ગો વચ્ચે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

ભવનાથ મહાદેવ મંદિર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. તેથી ભક્તોની મુખ્ય અપેક્ષા એ છે કે મંદિરનો વહીવટ પારદર્શક રહે, ધાર્મિક પરંપરાઓનું સંરક્ષણ થાય અને સાધુ સમાજ તેમજ શ્રદ્ધાળુઓ વચ્ચે સુમેળ જળવાઈ રહે. હાલ સામે આવેલા આક્ષેપોની સત્તાવાર તપાસ થાય છે કે નહીં અને મંદિર તંત્ર તરફથી શું જવાબ આપવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે. જો આક્ષેપોમાં તથ્ય હશે તો જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવે તેવી પણ ભક્તો માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now