સુરત શહેરમાં વન્યજીવ તસ્કરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) અને વન વિભાગના સંયુક્ત ઓપરેશનમાં સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલમાંથી દીપડાની ખાલ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ માત્ર એક સામાન્ય કેસ નથી, પરંતુ તેની પાછળ કરોડો રૂપિયાના ગેરકાયદેસર વન્યજીવ વેપાર સાથે સંકળાયેલું સંગઠિત આંતરરાજ્ય નેટવર્ક કાર્યરત હોઈ શકે છે..
ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ઝાંપાબજાર વિસ્તારમાં રહેતા બદ્રી અબ્બાસ સબ્બીરભાઈ અને મોઈની હુસેન હુનેદની ધરપકડ કરવામાં આવી હતી. હોટલના રૂમમાંથી જપ્ત કરાયેલી દીપડાની ખાલને લઈને હવે વન વિભાગ અને DRI દ્વારા બહુસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.
વોટ્સએપ ગ્રૂપથી ગ્રાહકો સુધી પહોંચતું હતું નેટવર્ક
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વોટ્સએપ ગ્રૂપ અને અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને પ્રતિબંધિત વન્યજીવોના અંગો અને ચામડાનો વેપાર કરતા હતા. ગુપ્ત બાતમી મળ્યા બાદ DRIએ ચોક્કસ માહિતીના આધારે હોટલમાં દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન મળી આવેલી માહિતી મુજબ મોઈની હુસેન સંભવિત ગ્રાહકો સાથે સંપર્કમાં હતો અને જપ્ત કરાયેલી દીપડાની ખાલનો સોદો કરવાની તૈયારી ચાલી રહી હતી. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હોવાનું જાણવા મળ્યું છે કે ખાલ તેને બદ્રી અબ્બાસ દ્વારા આપવામાં આવી હતી. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ ડીલ કરોડો રૂપિયામાં થવાની હતી અને તેનો ખરીદદાર ગુજરાત બહારનો પણ હોઈ શકે છે. જેના કારણે હવે તપાસનો વ્યાપ રાજ્યની સરહદો બહાર સુધી વિસ્તરવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોરમાં : 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ; ગરમીથી મોટી રાહત
ફોરેન્સિક તપાસથી ખુલશે અનેક રહસ્યો
વન વિભાગે જપ્ત કરાયેલી ખાલને વધુ વૈજ્ઞાનિક તપાસ માટે ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની ફોરેન્સિક લેબમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. અહીં ડીએનએ પરીક્ષણ, પ્રજાતિની પુષ્ટિ, ઉંમર નિર્ધારણ અને અન્ય વૈજ્ઞાનિક ચકાસણીઓ કરવામાં આવશે. આ પરીક્ષણોથી ખાલ ખરેખર દીપડાની છે કે નહીં, તે કેટલા સમય જૂની છે, કયા ભૌગોલિક વિસ્તારમાંથી સંબંધિત છે અને પ્રાણીનો શિકાર ક્યારે થયો હતો તે અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકશે. વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ રિપોર્ટ સમગ્ર કેસમાં સૌથી મહત્વપૂર્ણ પુરાવો બની શકે છે. જો ખાલ તાજેતરમાં શિકાર કરાયેલા દીપડાની હોવાનું સાબિત થશે તો તપાસ સીધી શિકાર સ્થળ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: વડોદરામાં કાળજું કંપાવતો અકસ્માત : કારચાલક વૃદ્ધ મહિલાએ એક્ટિવા સવાર ભાઈ-બહેનને 50 ફૂટ સુધી ઢસડ્યા
દીપડાના તમામ નખ ગાયબ
તપાસ દરમિયાન સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે જપ્ત કરાયેલી ખાલમાંથી દીપડાના તમામ નખ ગાયબ છે. વન્યજીવ તસ્કરીના અગાઉના કેસોમાં સામે આવ્યું છે કે દીપડાના નખ અને દાંતની ગેરકાયદેસર બજારમાં ભારે માંગ રહે છે.
અંધશ્રદ્ધા, તાંત્રિક વિધિઓ, સંગ્રહ અને શોખીન ખરીદદારો વચ્ચે આવા અંગો લાખો રૂપિયામાં વેચાતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેના કારણે તપાસ અધિકારીઓને શંકા છે કે નખ અલગથી વેચી દેવામાં આવ્યા હોઈ શકે છે અથવા અન્ય સાગરીતો પાસે રાખવામાં આવ્યા હોઈ શકે છે. હવે આરોપીઓના મોબાઈલ ફોન, વોટ્સએપ ચેટ, કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) અને અન્ય ડિજિટલ ડેટાની તપાસ કરીને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી આવ્યું વિવાદમાં : સાધુઓની હકાલપટ્ટીથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉછ્યા અનેક સવાલો
15 વર્ષ જૂની ખાલનાં દાવા પર સવાલ
પૂછપરછ દરમિયાન આરોપીઓએ દાવો કર્યો હતો કે જપ્ત કરાયેલી ખાલ લગભગ 15 વર્ષ જૂની છે અને તેમના પિતાના સમયથી ઘરમાં પડી હતી. જોકે વન વિભાગના નિષ્ણાતોએ આ દાવા પર શંકા વ્યક્ત કરી છે. પ્રાથમિક નિરીક્ષણમાં ખાલ બહુ જૂની લાગતી નથી. નિષ્ણાતોના પ્રારંભિક અંદાજ મુજબ ખાલ અંદાજે બે થી ત્રણ મહિના જેટલી જૂની હોઈ શકે છે. જો આ અંદાજ સાચો સાબિત થશે તો તાજેતરમાં દીપડાનો શિકાર કરવામાં આવ્યો હોવાની શક્યતા મજબૂત બનશે. હવે ફોરેન્સિક લેબનો રિપોર્ટ આ દાવાઓની સત્યતા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.
દીપડાની તસ્કરી ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો
ભારતમાં દીપડો વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સૌથી વધુ સુરક્ષિત પ્રજાતિઓમાં સામેલ છે. દીપડાનો શિકાર કરવો, તેની ખાલ, નખ, દાંત અથવા અન્ય અંગોનો સંગ્રહ, ખરીદી, વેચાણ કે હેરફેર કરવી ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો ગણાય છે. કાયદા મુજબ આવા ગુનામાં દોષિત ઠરનાર વ્યક્તિને ત્રણથી સાત વર્ષની કેદ અને ભારે આર્થિક દંડ થઈ શકે છે. પુનરાવર્તિત ગુનાઓમાં વધુ કડક સજાની જોગવાઈ પણ છે.
ગુજરાતમાં વન્યજીવ તસ્કરીના નેટવર્ક પર મોટો સવાલ
આ સમગ્ર ઘટનાએ ગુજરાતમાં વન્યજીવ તસ્કરીના નેટવર્ક અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. માત્ર બે આરોપીઓની ધરપકડથી તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાનું અધિકારીઓ માનતા નથી. હવે તપાસનું કેન્દ્ર એ છે કે દીપડાનો શિકાર ક્યાં થયો, ખાલ સુરત સુધી કેવી રીતે પહોંચી, તેમાં કોણ-કોણ સામેલ છે અને તેનો અંતિમ ખરીદદાર કોણ હતો. સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર વન્યજીવ વેપાર ચાલી રહ્યો હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને ડિજિટલ ફોરેન્સિક તપાસને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે દહેરાદૂનની ફોરેન્સિક લેબનો રિપોર્ટ મળ્યા બાદ કેસમાં વધુ ગંભીર કલમો ઉમેરવામાં આવી શકે છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસાઓ સામે આવે તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી.





