Home Gujarat Vadodara Yogesh Patel Passes Away Tribute Vadodara Manjalpur Mla Gujarat Politics

વડોદરાના રાજકારણના ભીષ્મ પિતામહના નિધનથી સૌ કોઇ આઘાતમાં : PM મોદી અને અમિત શાહે વ્યક્ત કર્યો શોક, આવતીકાલે નીકળશે અંતિમ યાત્રા, જાણો રૂટ

Yogesh Patel, Vadodara MLA
Published by: Nirali Gohil
Last Updated: Jun 03, 2026, 06:03 AM IST

Yogesh Patel, Vadodara MLA: ગુજરાતના રાજકીય ક્ષેત્ર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના વરિષ્ઠ ભાજપ નેતા, માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સતત 8 ટર્મ સુધી જનતાનો વિશ્વાસ જીતનારા યોગેશભાઈ પટેલનું અવસાન થયું છે. તેમના નિધનથી માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. લાંબા સમયથી લોકસેવામાં સક્રિય રહેલા યોગેશ પટેલે પોતાના સરળ સ્વભાવ, પ્રજાલક્ષી અભિગમ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના કારણે વિશિષ્ટ ઓળખ ઉભી કરી હતી. તેમના નિધનને કારણે ભાજપ તેમજ તેમના સમર્થકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.

8 ટર્મની સફળ રાજકીય સફર

યોગેશ પટેલે વર્ષ 1990માં જનતા પાર્ટીની ટિકિટ પર પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. ત્યારબાદ વર્ષ 1995માં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. તેઓ વડોદરાની રાવપુરા બેઠક પરથી સતત પાંચ વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ માંજલપુર બેઠકની રચના થયા પછી છેલ્લી ત્રણ ટર્મથી તેઓ ત્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા હતા. આ રીતે સતત 8 વખત ધારાસભ્ય બનવાનો દુર્લભ રેકોર્ડ તેમણે પોતાના નામે કર્યો હતો.

મંત્રી તરીકે પણ આપી હતી નોંધપાત્ર સેવા

યોગેશ પટેલે રાજ્ય સરકારમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ સંભાળી હતી. વિજય રૂપાણી સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા. વડોદરાના વિકાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાહેર સુવિધાઓના વિસ્તરણમાં તેમનું યોગદાન નોંધપાત્ર માનવામાં આવે છે. ખાસ કરીને વડોદરાની પ્રસિદ્ધ ‘શિવજી કી સવારી’ને ભવ્ય સ્વરૂપ આપવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી.

આ પણ વાંચો: માંજલપુરના MLA યોગેશ પટેલના નિધનથી ભાજપમાં શોકની લાગણી: પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યક્ત કરી સંવેદના

PM મોદી અને અમિત શાહે વ્યક્ત કર્યો શોક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર યોગેશ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે યોગેશ પટેલ સાચા અર્થમાં લોકનેતા હતા અને તેમણે હંમેશા સામાન્ય લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે યોગેશ પટેલનો સરળ અને સૌમ્ય સ્વભાવ દરેકને પ્રભાવિત કરતો હતો. સંગઠન મજબૂત બનાવવામાં અને જનસમસ્યાઓના નિરાકરણમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકીય નેતાઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આજે યોજાશે અંતિમ દર્શન

દિવંગત યોગેશ પટેલના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ગુરુવાર, 4 જૂન 2026ના રોજ સવારે 9:30 થી 10:30 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન ‘અમદાવાદી પોળ’ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પવા પહોંચે તેવી શક્યતા છે.

આ રહેશે અંતિમયાત્રાનો રૂટ

સવારે 10:45 વાગ્યે અંતિમયાત્રા અમદાવાદી પોળથી પ્રસ્થાન કરશે. યાત્રા ગાંધીનગર ગૃહ, પદ્માવતી શોપિંગ સેન્ટર, મ્યુઝિક કોલેજ, હઠીલા હનુમાન, પ્રતાપ ટોકીઝ, લાલ કોર્ટ, દાંડિયા બજાર ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા અને ઉદય નારાયણ મંદિર (SSG હોસ્પિટલ) થઈને ખાસવાડી સ્મશાનગૃહ પહોંચશે. ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને વડોદરા શહેર પોતાના લોકપ્રિય નેતાને અંતિમ વિદાય આપશે.

આ પણ વાંચો: અમદાવાદના 9 બ્રિજ નીચે બનશે આધુનિક સ્પોર્ટ્સ સેન્ટર્સ: ખાલી જગ્યાઓનો થશે સદુપયોગ, AMC નું મોટું આયોજન

એક યુગનો અંત

યોગેશ પટેલ માત્ર રાજકારણી જ નહોતા, પરંતુ જનતાના સુખ-દુઃખમાં હંમેશા સાથે ઉભા રહેતા લોકપ્રિય નેતા તરીકે ઓળખાતા હતા. સતત આઠ વખત લોકોનો વિશ્વાસ જીતવો એ તેમની લોકપ્રિયતા અને કાર્યશૈલીનો પુરાવો છે. તેમના નિધન સાથે વડોદરાની રાજનીતિનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે, પરંતુ લોકસેવાના ક્ષેત્રમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now