ગુજરાતમાં મનરેગા યોજના કૌભાંડની તપાસ તેજ બની છે. પહેલા રાજ્ય સરકારના મંત્રીના પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી, તો હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની અને તેમના પુત્ર દિગવિજયની અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી છે. વિગતો એવી છે કે, ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા આમોદ, જંબુસર, હાંસોટમાં 56 ગામોના 430 કામોમાં બે એજન્સીઓ દ્વારા મનરેગા કૌભાંડમાં રૂપિયા 7.30 કરોડનું કૌભાંડ આચર્યું છે
ભરૂચ મનરેગા કૌભાંડમાં બે એજેન્સીઓનો હાથ!
દાહોદ, નર્મદા ત્યારબાદ ભરૂચ, આમ રાજ્યમાં ત્રણ જિલ્લા મનરેગા કૌભાંડને લઈ ચર્ચામાં છે. ત્યારે ભરૂચ મનરેગા કૌભાંડની તપાસમાં બે એજન્સીઓના નામ સામે આવ્યા હતા. જે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ છે. શ્રી જલારામ એન્ટરપ્રાઇઝના માલિક પીયૂષ રતિલાલા નુકાણી અને શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝના માલિક જોધા નારણ સભાડ હોવાનું ખુલ્યું છે. જોકે આ એજન્સીના માલિકો કોંગ્રેસના નેતા હીરા જોટવાની નજીકના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું અને જેના પગલે હીરા જોટવાની પૂછપરછ માટે ભરૂચ પોલીસે અટકકાયત કરી ધરપકડ કરી હતી.
હીરા જોટવાના પુત્રની ધરપકડ
જો કે, આ તપાસ વધુ ઉડાણ પૂર્વક કરવામાં આવતા હાંસોટનો આઉટ સોર્સનો કમૅચારી રાજેશ ટેલરની સંડોવણી સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, બંને એજન્સીઓના માલિકના બેન્ક એકાઉન્ટ સહિત ફોન કોલ ડિટેલ્સ તપાસ કરતા હીરા જોટવા અને તેના દીકરા દિગવિજય જોટવાની સંડોવણી હોવાનું પણ બહાર આવતા ગીર સોમનાથથી ગત સાંજે દિગ્વિજયની અટકાયત કરી મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી
કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ભરૂચ મનરેગા કૌભાંડમાં ગીર સોમનાથના કોંગ્રેસી નેતા હીરા જોટવાની ધરપકડ બાદ તેમના દીકરા દિગવિજય જોટવાની પણ ભરૂચ પોલીસે ધરપકડ કરી હતી. જેમને કોર્ટમાં રજૂ કર્યો હતો અને પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ ની માંગ કરી હતી ત્યારે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
હું રાજકારણનો ભોગ બન્યો છું: હીરા જોટવા
સમગ્ર મામલે હીરા જોટવાએ કહ્યું હતું કે, ''સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં, હું રાજકારણનો ભોગ બન્યો છું'' તો બીજી તરફ આ કૌભાંડમાં મોટા માથાના નામ સામે આવે તેવી ભરૂચની ગલીઓમાં ચર્ચા થશે.

_e55cbd60-0fcc-495c-bc33-f9112a4179f1.jpg)




