વડોદરામાં તાજેતરમાં સર્જાયેલા વિશ્વ રેકોર્ડમાં BAPS બાળ સત્સંગ મંડળ વેરાવળના 67 બાળકોએ ઐતિહાસિક અને ગૌરવભર્યો ફાળો આપીને વેરાવળનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે. મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ પ્રસંગે BAPS સંસ્થાના આયોજન હેઠળ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકોનું સામૂહિક મુખપાઠ કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરનાં બાળકો જોડાયા હતા. આ ભવ્ય આયોજનમાં વેરાવળ BAPS મંદિરના 67 બાળકોએ નિખાલસ સ્મૃતિશક્તિ, શિસ્ત અને સંસ્કારોથી નોંધપાત્ર યોગદાન આપીને વિશ્વ રેકોર્ડ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
67 બાળકોનું ગોરવભર્યું અભિવાદન કરવામાં આવ્યું!
આ વિશ્વ રેકોર્ડમાં આપેલા યોગદાન બદલ વેરાવળ BAPS મંદિર ખાતે પૂજ્ય સંતોના કરકમળે 67 બાળકોનું ગોરવભર્યું અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પૂજ્ય સંતોએ બાળકોની અદભૂત સ્મૃતિશક્તિ, ધૈર્ય અને સંસ્કારસભર જીવનશૈલીની પ્રશંસા કરી હતી. સાથે જ આ સફળતા પાછળ રહેલી માતા-પિતા તથા બાળ સત્સંગ મંડળના સંયોજકોની નિષ્ઠાપૂર્વકની મહેનત અને માર્ગદર્શનને પણ પૂજ્ય સંતો દ્વારા ખુલ્લેઆમ બિરદાવવામાં આવ્યું હતું.
પૂજ્ય સંતોએ જણાવ્યું હતું કે, આજના સમયમાં બાળકોમાં સંસ્કાર, શ્રદ્ધા અને આત્મશક્તિ વિકસે તે માટે આવા સત્સંગમય પ્રયાસો ખૂબ જરૂરી છે. વેરાવળના બાળકો દ્વારા કરવામાં આવેલું આ અભૂતપૂર્વ કાર્ય અન્ય બાળકો અને યુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે અને BAPS સંસ્થાના સંસ્કારમય શિક્ષણના કાર્યને વધુ મજબૂત બનાવે છે.




















