બાંગ્લાદેશના રાજકીય ફલક પર થયેલા મોટા ફેરફારોની અસર હવે રમતગમત પર પણ જોવા મળી રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા વિવાદો ઉકેલાતા જણાય છે. અગાઉની સરકાર દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના લાઈવ ટેલિકાસ્ટ પર લાદવામાં આવેલા પ્રતિબંધને નવી સરકારે હટાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય માત્ર બાંગ્લાદેશ ક્રિકેટ ફેન્સ માટે જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના ખરાબ થયેલા રાજદ્વારી અને રમતગમતના સંબંધોમાં સુધારાના સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
આ વિવાદની શરૂઆત IPL 2026 ના ઓક્શન પછી થઈ હતી. ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ખરીદ્યો હતો. જોકે, ત્યારબાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ભારે અત્યાચાર કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનોને કારણે KKR ની ટીમ અને BCCI એ મુસ્તફિઝુર રહેમાનને IPL માંથી નિકાળવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના ભારે અત્યાચારને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં પણ ભારે ખટાશ આવી હતી. જેના પરિણામે બાંગ્લાદેશની સરકારે ભારતમાં આવીને T20 વર્લ્ડ કપ રમવાનો વિરોધ કર્યો અને ટૂર્નામેન્ટનો બહિષ્કાર (Boycott) કર્યો હતો. આ ઘટના બાદ ICC એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને વર્લ્ડ કપ રમવા મોકલ્યું હતું અને બાંગ્લાદેશમાં IPL ના ટેલિકાસ્ટ પર બેન લગાવી દેવામાં આવ્યો હતો.
નવી સરકારનો રમત પ્રત્યેનો અભિગમ
બાંગ્લાદેશમાં સત્તા પલટો થતા જ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી ઝહીર ઉદ્દીન સ્વપને જણાવ્યું કે, સરકાર રમતગમત અને રાજકારણને અલગ રાખવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ ચેનલ IPL નું ટેલિકાસ્ટ કરવા માંગતી હોય તો સરકાર તેને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી જોશે અને તેમાં કોઈ અવરોધ ઉભો કરશે નહીં. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે નવી સરકાર હવે સહયોગની રાજનીતિ પર ભાર મૂકી રહી છે.
બ્રોડકાસ્ટર્સ અને કેબલ ઓપરેટર્સને રાહત
સરકારના આ નિર્ણયથી બ્રોડકાસ્ટર્સમાં પણ ઉત્સાહ છે. કેબલ ઓપરેટર્સ એસોસિએશને પુષ્ટિ કરી છે કે, હાલમાં IPL ટેલિકાસ્ટ પર કોઈ રોક નથી. જો સ્ટાર સ્પોર્ટ્સ કે અન્ય કોઈ સ્થાનિક ચેનલ મેચો બતાવવા માંગતી હોય, તો તેઓ તેને પ્રસારિત કરી શકે છે. તેમને સરકાર તરફથી કોઈ નકારાત્મક નિર્દેશ મળ્યા નથી, જે ક્રિકેટ પ્રેમીઓ માટે મોટી રાહત છે.
ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ સંબંધોનું ભવિષ્ય
આ નિર્ણય પાછળ રાજદ્વારી વ્યૂહરચના પણ હોઈ શકે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ પ્રસ્તાવિત છે. એવામાં IPL પર નરમાઈ બતાવીને બાંગ્લાદેશ ભારતને સકારાત્મક સંકેત આપી રહ્યું હોય તેમ જણાય છે. જો બંને દેશો વચ્ચે રમતગમતના સંબંધો સુધરશે, તો આગામી સમયમાં દ્વિપક્ષીય સિરીઝો અને ક્રિકેટના વિકાસ માટે નવા દ્વાર ખુલશે.





