ગુજરાતના વડોદરામાં યોજાયેલા આમ આદમી પાર્ટીના (AAP) બૂથ કાર્યકર્તા સંમેલનમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ સામે તીખા પ્રહાર કરતા મોટા નિવેદનો આપ્યા હતા. કેજરીવાલે જણાવ્યું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના લોકોની સત્તા આવશે અને હવે રાજ્યમાં પરિવર્તનની લહેર શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આજે આખા ગુજરાતના લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે.
'AAP ને ગુજરાતમાં દરેક સમાજમાંથી સમર્થન મળી રહ્યું'
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ અને કોંગ્રેસ બંને મળીને સરકારી કોન્ટ્રાક્ટ લે છે અને બંને પાર્ટીઓએ મળીને ગુજરાતને લૂંટ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતને લૂંટી ખોખલું કરી નાખ્યું છે. કેજરીવાલના મતે 2027ની ચૂંટણી માત્ર સત્તા બદલવાની નહીં, પરંતુ ગુજરાતીઓના સન્માનની લડાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતમાં દરેક સમાજમાંથી સમર્થન મળી રહ્યું છે, જે બદલાવની સ્પષ્ટ નિશાની છે. સંમેલનમાં હાજર ગુજરાત AAPના પ્રભારી ગોપાલ રાયે પણ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે આ લોકો 30 વર્ષથી સત્તામાં હોવાનો અને પોતાનું સંગઠન સૌથી મજબૂત હોવાનો ઘમંડ છે. તેમણે દાવો કર્યો કે AAP એમનો સત્તાના ઘમંડને પણ તોડી નાખશે અને સંગઠનના ઘમંડને પણ ચૂરચૂર કરશે. ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે જનતાનો આત્મા જાગી જાય તે વાતનો તેમને ડર લાગી રહ્યો છે.
'બહુમતી હોવા છતાં ખાડા, ખરાબ રસ્તા અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ'
AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ વડોદરાની સ્થિતિ પર વાત કરતાં જણાવ્યું કે શહેરમાં ભાજપની બહુમતી હોવા છતાં ખાડા, ખરાબ રસ્તા અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યા છે. આદિવાસી નેતા ચૈતર વસાવાએ જણાવ્યું કે, આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં AAP શ્રમિકો અને સામાન્ય લોકોના હક માટે મજબૂત અવાજ બનશે.





















