આણંદમાં ફરી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું જણાઈ રહ્યું છે. આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે. ઇકબાલ મલેક નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા, જેઓ બાકરોલ તળાવના વોક-વે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખ્સો આવીને તેમની સાથે ઝઘડો કરી હુમલો કરી જાહેરમાં હત્યા કરી નાંખતા બાકરોલમાં અરેરાટી વ્પાપી છે.
હત્યા અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી
સમગ્ર ઘટના અંગે જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત વિદ્યાનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે, હજુ સુધી હત્યાનું અંગેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર હત્યા કેસ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલે કહ્યું કે, ''બાકરોલ ગામે હત્યાનો બનાવ બન્યાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે ઈરફાન ઉસેન યુસુફમિયા અલ્લાહઉદિન મલિકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના ભાઈ ઇકબાલ મલેક ઉર્ફે બાલા આજે સવારે વોકિંગ કરવા ગયા હતા તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ અગમ્ય કારણોસર હથિયાર વડે ગંભીરઈજા પહોંચાડી હત્યા કરી. જે મામલે ગુનાની ગંભીરતા સમજી પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.






