Home Gujarat Amreli Chavand Seat Sonalben Der Bjp Candidate

સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો : માયાભાઇ આહીરના દીકરાની સાઈડ કાપી દીકરીએ મેળવી ટિકિટ, જાણો કઈ પાર્ટીની બની ઉમેદવાર?

Sonal Der
Published by: Chintan Chavda
Last Updated: Apr 11, 2026, 02:00 PM IST

ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં અનેક દિગ્ગજ ચહેરાઓ સામે આવી રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણમાં જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે નામ છે સોનલ મોનીલભાઈ ડેર. પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રી સોનલ હવે સક્રિય રાજકારણમાં ડગ માંડી રહ્યા છે. તેમણે અમરેલી જિલ્લાની ચાવંડ તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને સૌને ચોંકાવી દીધા છે.

રાજકીય પૃષ્ઠભૂમિ અને પારિવારિક પ્રભુત્વ

સોનલ ડેર માત્ર એક લોકપ્રિય સાહિત્યકારના પુત્રી જ નથી, પરંતુ તેમનું સાસરી પક્ષનું બેકગ્રાઉન્ડ પણ રાજકીય રીતે ખૂબ જ મજબૂત છે. તેઓ અમરેલી જિલ્લા ભાજપના કદાવર નેતા જીતુ ડેરના પુત્રવધુ છે. ઉલ્લેખનીય છે કે, ડેર પરિવારનો ચાવંડ અને આસપાસના પંથકમાં વર્ષોથી દબદબો રહ્યો છે. અગાઉ જીતુ ડેરના પત્ની પણ આ જ બેઠક પરથી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આમ, સોનલ ડેર માટે રાજકારણ નવો વિષય નથી, પરંતુ આ વખતે તેમની વ્યક્તિગત એન્ટ્રીએ સ્થાનિક સમીકરણો બદલી નાખ્યા છે.

આ પણ વાંચો: સંગીતની દુનિયાથી સીધા રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી : ગુજરાતની બે લોકપ્રિય ગાયિકાઓને ભાજપે ઉતારી ચૂંટણી મેદાનમાં..!

ભાજપના દિગ્ગજોની હાજરીમાં શક્તિપ્રદર્શન

જ્યારે સોનલ ડેર ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે અમરેલીના ધારાસભ્ય જનક તળાવિયા અને સાંસદ ભરત સુતરીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારોની હાજરી સૂચવે છે કે ભાજપ હાઈકમાન્ડ આ બેઠકને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે. માયાભાઈ આહીરની લોકપ્રિયતા અને ડેર પરિવારનું સ્થાનિક નેટવર્ક આ બંને પરિબળો ભાજપ માટે જીતનો માર્ગ મોકળો કરી શકે છે.



આ પણ વાંચો: લોકગાયિકા રાજલ બારોટની રાજકારણમાં એન્ટ્રી : ઉના પાલિકાની ચૂંટણીમાં ગરમાવો

બગદાણા પ્રકરણ અને રાજકીય અસરો

થોડા સમય પહેલા બગદાણામાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું હતું. જોકે, તે વિવાદ સાથે સોનલ ડેરની આ ઉમેદવારીને સીધો કોઈ સંબંધ નથી, તેમ છતાં લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આહીર પરિવારની આ નવી પેઢીની રાજકીય એન્ટ્રીથી પક્ષને આહીર સમાજના મતો અંકે કરવામાં મોટી સફળતા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now