ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. આ વચ્ચે લોકપ્રિય લોકગાયક રાજલ બારોટે રાજકારણમાં એન્ટ્રી લઈને ભાજપ વતી ઉના નગરપાલિકાની વોર્ડ નંબર 7 બેઠક માટે ઉમેદવારી નોંધાવતા ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. તેમની એન્ટ્રીથી ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે.
માતા-પિતાના આશીર્વાદથી શરૂ કર્યું રાજકીય પ્રવાસ
ઉમેદવારી નોંધાવતા પહેલા રાજલ બારોટે પોતાના માતા-પિતાના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે પરિવારજનો અને નજીકના સમર્થકો હાજર રહ્યા હતા. આશીર્વાદ લીધા બાદ તેઓ સંપૂર્ણ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવવા માટે રવાના થયા હતા. આ દ્રશ્યે દર્શાવ્યું કે તેઓ પોતાના રાજકીય પ્રવાસની શરૂઆત પરંપરાગત મૂલ્યો સાથે કરી રહ્યા છે.
રાજલ બારોટે જણાવ્યું કે, "મારા મમ્મી-પપ્પાના મેં અંતરાત્માથી ખૂબ આશીર્વાદ લીધા છે કે તેઓના આશીર્વાદ મારા પર બન્યા રહે. મારા સાસુ-સસરાના પણ મેં આશીર્વાદ લીધા છે. મારા બંને પરિવાર તરફથી મને ખૂબ સાથ-સહકાર અને આશીર્વાદ મળ્યા છે. અને ફોર્મ ભરવા માટે અમે આજે જઈ રહ્યા છીએ."
ઉના નગરપાલિકા વોર્ડ 7 માં ઉમેદવારી
રાજલ બારોટ ઉના નગરપાલિકાની વોર્ડ નંબર 7 બેઠક પરથી ચૂંટણી લડશે. આ બેઠક પર તેમની એન્ટ્રીથી રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી શકે છે. લોકપ્રિયતા ધરાવતા ગાયક તરીકે તેમની ઓળખ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સ્થાનિક મતદારોમાં પણ તેમની ઉમેદવારી અંગે ચર્ચા તેજ બની છે.





