Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીને લઈને માહોલ ગરમાયો છે. ખાસ કરીને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ પર કોંગ્રેસના મહિલા કાર્યકરે ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે. રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ દાવો કર્યો છે કે સોનલબેન પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવા માટે પાર્ટી ફંડના નામે 1 લાખ રૂપિયા લીધા હતા.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાકા-ભત્રીજી વચ્ચે કઈ વાતે થઈ બબાલ? : જાણો પૂનમ માડમ અને વિક્રમ માડમના ઘર્ષણનું કારણ
ટિકિટ માટે 1 લાખ રૂપિયાની માંગનો આક્ષેપ
રખિયાલ-સરસપુર વોર્ડની મહિલા પ્રમુખ ભાવના ગુપ્તાએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવા માટે ‘પાર્ટી ફંડ’ના નામે 1 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે શોર્ટ લિસ્ટમાં નામ આવ્યાં બાદ તેમને કહેવામાં આવ્યું કે પાર્ટી ફંડ આપવું જરૂરી છે. 10 તારીખે તેમણે એક લાખ રૂપિયા આપ્યા હોવાનું પણ જણાવ્યું છે.
"વાળ પકડીનો લાફો ઝીંક્યો હતો"
એટલું જ નહીં ટિકિટ ન મળતા ચર્ચા કરવા જઈને પોતે સોનલ પટેલને લાફો ઝીંક્યો હોવાનો પણ ભાવનાબેન ગુપ્તાએ દાવો કર્યો હોવાના સમાચારો માધ્યમોમાં વહેતા થયા છે. વિવાદ વકરતા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે તમામ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યાં હતાં. સોનલ પટેલે ભાર પૂર્વક પોતે કોઈ પાસે થી રૂપિયા ન લીધા હોવાનું પોતાના બચાવમાં કહ્યું હતું.
સમગ્ર મામલે રખિયાલ વોર્ડના મહિલા પ્રમુખ ભાવના ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે, સોનલબેન કહ્યું કે શોર્ટ લીસ્ટમાં નામ આવ્યું એટલે પાર્ટી ફંડ આપવું પડે. કેટલું તો કહ્યું કે એક લાખ. 10 તારીખે અમે પૈસા આપ્યાં હતાં.
સમગ્ર મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે, મારા પર જે આક્ષેપ થયા છે તે પાયાવિહોણા છે. મેં કોઈ પાસેથી રૂપિયા લીધા નથી. બહેન સાથે જો છેતરપિંડી થઈ હોય તો તે પોલીસ ફરિયાદ કરી શકે છે.
આ પણ ખાસ વાંચોઃ મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાં સર્જાઈ ટેકનીકલ ખામી! : ઘટનાને પગલે સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો
"ઓલા ગાડી કરીને પૈસા લેવા આવ્યાં હતાં"
ભાવનાબેન ગુપ્તાનું કહેવું છે કે, શહેર કોંગ્રેસ પ્રમુખ એક જગ્યાએ ઓલા ગાડી કરીને આવ્યા હતા. ગાડીનો કાચ ખોલીને પૈસા લઈને વિશ્વાસ આપ્યો હતો કે કામ થઈ જશે. એ બાદ 10 તારીખ સુધી રાહ જોઈ અને બાદમાં 11 એપ્રિલે બીજા ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી હતી.
કોંગ્રેસ માટે મુશ્કેલીનું સંકેત?
આ ઘટના માત્ર વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ તે પાર્ટીના આંતરિક તણાવને પણ દર્શાવે છે. ચૂંટણી પહેલા આવા વિવાદો બહાર આવવાથી કોંગ્રેસ માટે રાજકીય રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કાર્યકર્તાઓમાં અસંતોષ અને નેતૃત્વ સામે આક્ષેપો પાર્ટીના ઈમેજ પર અસર કરી શકે છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા આ પ્રકારના વિવાદો મતદારોના મન પર અસર કરી શકે છે. એક તરફ ટિકિટ માટે પૈસા લેવાયા હોવાના આક્ષેપ અને બીજી તરફ નેતૃત્વ દ્વારા તેનો ઇન્કાર-આ બંને વચ્ચે સત્ય શું છે તે તપાસનો વિષય બની શકે છે. આ ઘટના રાજકીય પારદર્શકતા, પાર્ટી આંતરિક વ્યવસ્થા અને કાર્યકર્તાઓના વિશ્વાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉજાગર કરે છે.





