દર વર્ષે જ્યારે વસંત જાપાનમાં આવે છે, ત્યારે સમગ્ર દેશ ગુલાબી અને સફેદ ચેરીના ફૂલોથી સજી જાય છે. આ નજારો જોવા માટે લાખો લોકો ઉદ્યાનોમાં અને નદી કિનારે એકઠા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સુંદર વૃક્ષો હવે વૃદ્ધ થઈ રહ્યા છે અને ધીમે ધીમે સુકાઈ રહ્યા છે. હવે વૃક્ષોને બચાવવા ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે. જાપાનની એક કંપનીએ એક AI ટૂલ બનાવ્યું છે જે ફોટો જોઈને જ કહી શકે છે કે વૃક્ષ કેટલું સ્વસ્થ છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં આ વૃક્ષોને બચાવવામાં ઘણી મદદ કરી શકે છે.
સાકુરા મોસમ અને વૃદ્ધ વૃક્ષો
જાપાનમાં દર વર્ષે 'સકુરા' અથવા ચેરી બ્લોસમની સિઝન ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તે વસંતઋતુની શરૂઆતને ચિહ્નિત કરે છે અને સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ દૂર-દૂરથી આ દ્રશ્યનો આનંદ માણવા આવે છે. પરંતુ જાપાનના પ્રખ્યાત ચેરી વૃક્ષો હવે વૃદ્ધ થઈ રહ્યા છે, જે લગભગ 70 થી 80 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે. આ ઉંમરે તેમની સંભાળ રાખવી અને તેમને સ્વસ્થ રાખવા મુશ્કેલ બની રહ્યા છે. આ સમસ્યાઓનો સામનો કરવા માટે પ્રખ્યાત જાપાનીઝ કંપની કિરીને એક નવું AI ટૂલ “Sakura AI Camera” વિકસાવ્યું છે.
AI કેમેરા વડે વૃક્ષોની તપાસ
આ સાધન સ્માર્ટફોન વડે લીધેલા ચેરી બ્લોસમ્સની તસવીરો જોઈને વૃક્ષની સ્થિતિ અને ઉંમર વિશે માહિતી આપે છે. યૂઝર્સ ફક્ત તેમના ફોટા વેબસાઇટ પર અપલોડ કરવાના હોય છે અને પછી AI ટૂલ વૃક્ષને 5-પોઇન્ટ સ્કેલ પર "ખૂબ જ સ્વસ્થ" થી "ચિંતાનો વિષય" સુધી રેટ કરે છે. આ ટેક્નોલોજીને 5,000 ઈમેજો સાથે તાલીમ આપવામાં આવી છે જે નિષ્ણાતોની મદદથી એકત્રિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં લગભગ 20,000 નવા ફોટોગ્રાફ્સ પ્રાપ્ત થયા છે અને આ તમામ ડેટા સ્થાનિક વહીવટીતંત્રને મફતમાં આપવામાં આવી રહ્યા છે જેથી કરીને તેઓ વૃક્ષોની વધુ સારી રીતે કાળજી લઈ શકે.
વૃક્ષોને બચાવવામાં મળી રહી છે મદદ
ટોક્યોના મેગુરો વોર્ડ મુજબ ચેરીનું નવું વૃક્ષ વાવવા માટે લગભગ 10 લાખ યેન (આશરે 5.5 લાખ રૂપિયા)નો ખર્ચ થાય છે. તેથી જૂના વૃક્ષોને બચાવવા અને સમયસર તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. જાપાન ટ્રી ડોક્ટર્સ એસોસિએશનના હિરોયુકી વાડા આ AI પ્રોજેક્ટના નિરીક્ષક છે. તેઓ ટોક્યોના કેટલાક વિસ્તારોમાં વૃક્ષોની તપાસ કરે છે. તેમનું કહેવું છે કે આ સાધન વૈજ્ઞાનિકોને એ સમજવામાં પણ મદદ કરશે કે શા માટે વૃક્ષો બગડી રહ્યા છે. તેમણે કહ્યું કે હવામાનમાં ફેરફાર, વધુ પડતી ગરમી અને વરસાદનો અભાવ પણ વૃક્ષોની હાલત બગાડી રહ્યો છે.
વૃક્ષોના જતન તરફ એક પગલું
કિરીન કંપનીએ ગયા વર્ષથી ચેરીના વૃક્ષોને બચાવવા માટે તેના નફાનો એક ભાગ દાનમાં આપવાનું શરૂ કર્યું છે. કંપનીના પ્રતિનિધિ રિસા શિઓડા કહે છે કે આ સમુદાયને "થોડું પાછું આપવા" જેવું છે, કારણ કે જાપાનમાં લોકો ચેરી બ્લોસમ્સની નીચે "હનામી" પાર્ટીઓ દરમિયાન કિરીન બીયર અને અન્ય બીયર પીવે છે. ચેરી બ્લોસમ્સને જાપાનીઝ સંસ્કૃતિમાં જીવનની અસ્થાયીતાનું પ્રતીક માનવામાં આવે છે (જે કંઈપણ કાયમ રહેતું નથી) કારણ કે તેમના ફૂલો ખૂબ જ ઝડપથી ખરી જાય છે. આ સિઝન માત્ર ફૂલોની શરૂઆત જ નહીં પરંતુ જાપાનમાં નવા બિઝનેસ વર્ષની શરૂઆત અને નવી નોકરીઓ પણ દર્શાવે છે.





















