આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજે માત્ર ટેક્નોલોજી નથી રહી, પરંતુ તે માનવીય લાગણીઓ સાથે પણ જોડાઈ રહી છે. ચીનમાંથી એક એવી ઘટના સામે આવી છે જે એક તરફ આશ્ચર્યજનક છે તો બીજી તરફ વિચાર કરવા મજબૂર કરે છે. એક પરિવારે પોતાના મૃત્યુ પામેલા પુત્રનો AI દ્વારા ડિજિટલ અવતાર બનાવી તેની વૃદ્ધ માતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરાવી રહી છે.
ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે હવે એવી બાબતો શક્ય બની રહી છે જે થોડા વર્ષો પહેલા કલ્પના બહાર હતી. ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક અનોખો ઉપયોગ સામે આવ્યો છે, જેમાં એક મૃત્યુ પામેલા વ્યક્તિને ડિજિટલ સ્વરૂપમાં ફરીથી જીવંત બનાવવામાં આવ્યો છે. આ ઘટના ચીનના શાનડોંગ પ્રાંત સાથે સંબંધિત છે, જ્યાં એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. આ વ્યક્તિ પોતાની માતાનો એકમાત્ર પુત્ર હતો. પુત્રના અચાનક નિધન પછી પરિવાર માટે આ ઘટના સહન કરવી મુશ્કેલ બની ગઈ હતી, ખાસ કરીને તેની વૃદ્ધ માતા માટે. માતાની ઉંમર 80 વર્ષથી વધુ હતી અને તેઓ હૃદયરોગથી પણ પીડાઈ રહી હતી. આવી સ્થિતિમાં પરિવારને ભય હતો કે પુત્રના મોતનો આઘાત તેઓ સહન નહીં કરી શકે. આ કારણસર પરિવારે એક અનોખો નિર્ણય લીધો.
AI દ્વારા બનાવાયો ડિજિટલ અવતાર
પરિવારે એક AI નિષ્ણાતનો સંપર્ક કર્યો અને મૃત્યુ પામેલા વ્યક્તિની તસવીરો, વીડિયો અને અવાજની રેકોર્ડિંગ્સ આપી. આ તમામ ડેટાનો ઉપયોગ કરીને AI દ્વારા એક એવો ડિજિટલ અવતાર તૈયાર કરવામાં આવ્યો જે દેખાવ, અવાજ અને બોલવાની રીતમાં મૂળ વ્યક્તિ જેવો જ લાગે છે. આ ડિજિટલ સ્વરૂપ માત્ર દેખાવમાં જ નહીં પરંતુ વર્તનમાં પણ ખુબ સમાન છે. તે વ્યક્તિ જેવી જ બોડી લેંગ્વેજ અને બોલવાની શૈલીનું અનુસરણ કરે છે.
રોજ થાય છે વીડિયો કોલ પર વાત
આ ડિજિટલ અવતાર એક ચેટ એપ્લિકેશન દ્વારા રોજ તેની વૃદ્ધ માતા સાથે વીડિયો કોલ કરે છે. માતા માટે આ અનુભવ એવું છે કે જાણે તેમનો પુત્ર હજુ જીવંત છે અને તેમની સાથે વાત કરી રહ્યો છે. આ રીતે પરિવારએ માતાને સત્યથી દૂર રાખીને તેમની ભાવનાઓનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો છે.
ટેક્નોલોજીનો ભાવનાત્મક ઉપયોગ
આ ઘટના દર્શાવે છે કે AI હવે માત્ર ટેક્નિકલ કામ સુધી મર્યાદિત નથી રહી. હવે તે માનવીય લાગણીઓ અને સંબંધોમાં પણ ઉપયોગમાં લેવાઈ રહી છે. જ્યાં એક તરફ આ ટેક્નોલોજી દુઃખમાંથી રાહત આપી શકે છે, ત્યાં બીજી તરફ તે નૈતિક પ્રશ્નો પણ ઉભા કરે છે. શું આવી રીતે સત્ય છુપાવવું યોગ્ય છે? શું આ લાંબા ગાળે વ્યક્તિ માટે હાનિકારક બની શકે? આ પ્રશ્નોના જવાબ હજુ સ્પષ્ટ નથી.
ફાયદા અને ચિંતાઓ બંને
AIનો આ ઉપયોગ એક તરફ માનવીય સંવેદનાને સમજવાનો પ્રયાસ છે, પરંતુ તેની સાથે કેટલીક ચિંતાઓ પણ જોડાયેલી છે. આ ટેક્નોલોજી માનસિક રીતે કેટલું સહાયક છે અને કેટલું નુકસાનકારક બની શકે તે અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે. તેથી નિષ્ણાતો માને છે કે આવી ટેક્નોલોજીનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જવાબદારી સાથે કરવો જરૂરી છે.





