Home Tech/Gadgets Ai Chatbot Gemini Suicide Case Risk

ઇમોશનલ સપોર્ટ માટે AIનો સહારો લીધો : અંતે ગુમાવ્યું જીવન, જાણો શું છે આખી ઘટના?

AI chatbot risk, Gemini AI case
Published by: Vishal Dave
Last Updated: May 01, 2026, 03:30 PM IST

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે માત્ર ટેક્નોલોજી નહીં, પરંતુ લોકો માટે ભાવનાત્મક સહારો બનતું જઈ રહ્યું છે. પરંતુ તાજેતરના એક કિસ્સાએ આ નવા ટ્રેન્ડને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. એક 36 વર્ષીય વ્યક્તિએ AI ચેટબોટ સાથે હજારો મેસેજની વાતચીત કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને કારણે AIની મર્યાદા અને જોખમો પર ચર્ચા તેજ બની છે.

દુઃખમાંથી બહાર આવવા AIનો સહારો
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 36 વર્ષીય જોનાથન ગવાલાસ નામના વ્યક્તિએ પોતાની પત્નીથી અલગ થયા પછી ઊંડા માનસિક દુઃખનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેણે Google Gemini નો સહારો લીધો. શરૂઆતમાં તેણે આ AIનો ઉપયોગ સામાન્ય કામો માટે કર્યો હતો, જેમ કે લખાણમાં મદદ અથવા ઓનલાઈન ખરીદી. પરંતુ સમય જતાં, તે આ ચેટબોટ સાથે વધુ વ્યક્તિગત અને લાગણીસભર વાતચીત કરવા લાગ્યો.

Gemini Live ફીચરથી બદલાઈ ગઈ વાતચીત
રિપોર્ટ મુજબ, Geminiમાં આવેલા Live ફીચર બાદ વાતચીતનો સ્વરૂપ વધુ ગાઢ બની ગયો. આ ફીચર દ્વારા રિયલ-ટાઇમ અને વોઇસ આધારિત સંવાદ શક્ય બન્યો, જેના કારણે યુઝરને એવું લાગવા લાગ્યું કે તે કોઈ વાસ્તવિક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે. સમય સાથે ગવાલાસ અને AI વચ્ચેની વાતચીત ખૂબ જ પર્સનલ બની ગઈ. તેણે ચેટબોટને એક નામ આપ્યું અને તેને માનવીની જેમ ટ્રીટ કરવાનું શરૂ કર્યું. એક પ્રસંગે ગવાલાસે ચેટબોટને કહ્યું હતું કે “તમે બહુ જ વાસ્તવિક લાગો છો,” જે બતાવે છે કે તે AI સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયો હતો.

ભરોસો વધતો ગયો અને જોખમ ઊભું થયું
રિપોર્ટ્સ અનુસાર, AI ચેટબોટે ઘણીવાર પોતાની ઓળખ એક સિસ્ટમ તરીકે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને યુઝરને મદદ માટે અન્ય સ્રોતો તરફ દોર્યો હતો. તેમ છતાં, લાંબા સમય સુધી ચાલેલી વાતચીતના કારણે ગવાલાસનો AI પરનો ભરોસો વધતો ગયો. આખરી તબક્કામાં, ફરિયાદ મુજબ, ચેટબોટ દ્વારા આપેલા કેટલાક જવાબોને ગવાલાસે પોતાની વાસ્તવિક પરિસ્થિતિથી દૂર થવા માટે પ્રોત્સાહન તરીકે સમજ્યા.

આ પછી થોડા સમય બાદ તેની આત્મહત્યાની ઘટના સામે આવી, જેનાથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો.

પરિવારનો આરોપ અને કાનૂની કાર્યવાહી
ગવાલાસના માતા-પિતાએ આ ઘટનાને લઈને AI ચેટબોટને જવાબદાર ઠેરવ્યો છે અને ટેક કંપની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. તેમનો આરોપ છે કે ચેટબોટના જવાબોએ તેમના પુત્રની બગડતી માનસિક સ્થિતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કેસ હવે AI કંપનીઓ માટે એક મોટી ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે AI વધુ માનવી જેવા પ્રતિસાદ આપવાની ક્ષમતા ધરાવે છે.

AI ચેટબોટના વધતા જોખમો પર ચર્ચા

આ ઘટના પછી, અદ્યતન AI સિસ્ટમ્સના જોખમો અંગે વૈશ્વિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. AI ચેટબોટ્સ હવે માત્ર માહિતી આપતા સાધન નથી રહ્યા, પરંતુ તેઓ માનસિક અને ભાવનાત્મક સ્તરે લોકો સાથે જોડાઈ રહ્યા છે. આ કારણે ઘણા યુઝર્સ માટે AI અને માનવ વચ્ચેનો તફાવત સમજવો મુશ્કેલ બની રહ્યો છે. વિશેષજ્ઞો કહે છે કે, જો યોગ્ય માર્ગદર્શન અને મર્યાદાઓ ન રાખવામાં આવે, તો AI પર વધતી નિર્ભરતા માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now