આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીએ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શ્યું છે. હવે જ્યોતિષ ક્ષેત્ર પણ એમાંથી અપવાદ નથી. બજારમાં આવી રહેલી નવી એપ્સ અને વેબસાઇટ્સ પર AI પંડિતજી ઉપલબ્ધ થઈ ગયા છે, જ્યાં લોકો પોતાના પ્રશ્નોના તરત જ જવાબ મેળવી રહ્યા છે.
AI જ્યોતિષની શરૂઆત
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, 2003માં એક ખાનગી વેબસાઇટ શરૂ કરવામાં આવી હતી, જે માત્ર જન્માક્ષર અને લગ્ન મેચિંગ સુધી મર્યાદિત હતી. પરંતુ સપ્ટેમ્બર 2024માં, આ સાઇટે AI આધારિત જ્યોતિષ સેવા શરૂ કરી, જે સંપૂર્ણપણે કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા સંચાલિત છે. શરૂઆતમાં સાઇટના માલિકને લાગ્યું હતું કે લોકો વિશ્વાસ નહીં કરે, પરંતુ હકીકતમાં લોકોએ તેને ઝડપથી સ્વીકારી લીધું.
લોકો શું પૂછે છે AI પંડિતજીને?
લોકો વિવિધ પ્રશ્નો સાથે AI જ્યોતિષીઓનો સંપર્ક કરી રહ્યા છે, જેમ કે –
લગ્ન ક્યારે થશે?
નોકરીના ઇન્ટરવ્યૂ માટે કયા રંગના કપડાં પહેરવા?
શેરબજારમાં રોકાણ માટે યોગ્ય સમય કયો છે?
અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે?
કાર કે ઘરેણાં ખરીદવા માટે શુભ દિવસ કયો છે?
કેટલાક લોકો તો પોતાના જૂના પ્રેમ પાછા આવશે કે નહીં તેવા પ્રશ્નો પણ પૂછે છે.
વિશ્વસનીયતા અને લોકપ્રિયતા
AI જ્યોતિષીઓને લોકો ઝડપી અને સચોટ ગણતરી માટે ઓળખે છે. તે માત્ર થોડા સેકન્ડમાં જવાબ આપે છે. ઘણી વખત લોકો માનવીય જ્યોતિષીઓને વ્યક્તિગત પ્રશ્નો પૂછવામાં અચકાતા હોય છે, પરંતુ AI ચેટબોટ સાથે તેઓ નિઃશંક વાત કરે છે.
ચાર્જ અને કમાણી
AI જ્યોતિષીની ફી માનવ જ્યોતિષી જેટલી જ છે. તે પ્રતિ મિનિટ 15થી 40 રૂપિયા સુધી ચાર્જ કરે છે.
AI જ્યોતિષીઓ માટે ફ્રીથી પેઇડ ચેટમાં કન્વર્ઝન રેટ 9.6% છે.
માનવ જ્યોતિષીઓ માટે આ આંકડો માત્ર 6% છે.
કારણ કે કંપનીઓને કોઈ જ્યોતિષી સાથે કમાણી વહેંચવાની નથી, AI જ્યોતિષ સાઇટ્સ વધુ નફાકારક બની રહી છે.




















