અમદાવાદના વટવા વિસ્તારનાં કુતુબનગરમાં 35 વર્ષ જૂના સંભવિત હત્યાકાંડને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીં યુવતીનુ ઢીમ ઢાળીને મૃતદેહને દાટી દેવાયામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતી મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને સ્થળ પર તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલમાં ઘટનાસ્થળે JCB મશીનની મદદથી ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આટલા લાંબા સમય બાદ પુરાવા શોધવા પડકાર રૂપ હોવા છતાં પોલીસે આધુનિક ટેકનોલોજી, ફોરેન્સિક સહાય અને પોતાના બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ આગળ ધપાવી છે. પ્રાથમિક રીતે જે સ્થળ નિશ્ચિત કરાયું છે ત્યાં મૃતદેહ દાટાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ફાઇનાન્સ મંત્રાલય અને NPCI ના નામે ફ્રોડ : અમદાવાદ સાયબર ક્રાઈમે ગાજિયાબાદથી બે આરોપી ઝડપ્યા
તપાસમાં અચાનક આવ્યો વળાંક
આ કેસમાં મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે પરિવારના લોકોને યુવતીનો ભાસ થવા લાગ્યો હતો. પરિવારના સભ્યો તાંત્રિક વિધિ માટે ગયા ત્યારે આ સમગ્ર મામલાની જાણ થઈ. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અને ભયના માહોલમાં જીવી રહ્યો હતો. આ દરમિયાન જૂની ઘટના વિશે ચર્ચા થતા 35 વર્ષ જુના ગુનાની જાણ થઈ.
જોકે, પરિવારમાંથી મળેલી માહિતીમાં કેટલીક બાબતો અપ્રમાણિત અને માન્યતા વગરની હોવાની શક્યતા પણ છે. પોલીસે આ તમામ પાસાઓને અત્યંત સાવધાનીપૂર્વક તપાસમાં સામેલ કર્યા છે અને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા અથવા અપ્રમાણિત દાવાઓને સત્તાવાર પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કર્યું છે. તપાસ માટે મુખ્ય આધાર ભૌતિક પુરાવા અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ રહેશે.
મૃતદેહો દાટવામાં આવ્યાની આશંકા
આ કેસમાં પરિવારના જ સભ્યએ યુવતીનું ઢીમ ઢાળ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ખોદકામ દરમિયાન જો કોઈ માનવ અવશેષો મળી આવે તો તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે અને ડીએનએ પરીક્ષણ દ્વારા ઓળખની પ્રક્રિયા હાથ ધરાશે.
આટલા વર્ષો બાદ મળનારા અવશેષોની ઓળખ કરવી સરળ નથી પરંતુ આધુનિક ફોરેન્સિક ટેકનોલોજીથી ઘણા જૂના કેસોમાં પણ ઓળખ શક્ય બની છે. પોલીસને આશા છે કે જો પૂરતા પુરાવા મળે તો આ કેસ ઉકેલવામાં સફળતા મળી શકે છે.
વટવા વિસ્તારમાં અચાનક મોટી સંખ્યામાં પોલીસ દળ અને JCB મશીનો પહોંચતા સ્થાનિકોમાં ભારે ચકચાર ફેલાઈ છે. ઘણા લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને આખી ઘટનાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 35 વર્ષ જુની ઘટના હવે ફરી સામે આવી રહી હોવાની વાતે લોકોમાં આશ્ચર્ય જગાવ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર એ સાબિત કર્યું છે કે કોઈ પણ ગુનો કેટલો પણ જુનો હોય યોગ્ય બાતમી, ટેકનોલોજી અને તપાસના દ્રઢ પ્રયાસોથી વર્ષો બાદ પણ સત્ય બહાર આવી શકે છે. હવે સૌની નજર આ ખોદકામમાંથી શું બહાર આવે છે અને પોલીસ આગળ શું ખુલાસો કરે છે તેના પર કેન્દ્રિત છે.





