અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે, જેમાં યુવક મનીષ ગોરડીયાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે. આ ઘટના પહેલા મનીષે ઈન્સ્ટાગ્રામ પર 20 મિનિટનો એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે પોતાની પત્ની પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
ઈન્સ્ટાગ્રામમાં 20 મિનિટનો વીડિયો બનાવ્યો
મનીષ ગોરડીયા નામના વ્યક્તિએ તેની પત્નીના ત્રાસના કારણે આત્મહત્યા કરી છે. મનીષે આ સમગ્ર બાબતે પહેલા ઈન્સ્ટાગ્રામમાં 20 મિનિટનો વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં આત્મહત્યાની સમગ્ર હકીકત જણાવી હતી. વીડિયોમાં મનીષે તેની પત્ની પર ગંભીર આક્ષેપો મુક્યા છે અને તેની સામે કાર્યવાહી કરવાની વાત પણ કરી છે. એટલું જ નહીં પરંતુ તેના મોત પછી તેના પરિવારજનો તેના અંતિમસંસ્કાર ના કરે તેવી વાત પણ કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસ કોની સામે કાર્યવાહી કરે છે તે તપાસ થયા બાદ જાણવા મળશે.
પોલીસે તપાસ હાથ ધરી
મણીનગર રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતું મૂકીને મનીષ ગોરડિયાએ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. આ સમગ્ર મામલાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સમગ્ર કેસમાં મણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.





