અમદાવાદના જશોદાનગરમાં સ્થાનિકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ વચ્ચે બબાલ થઈ હતી. AMCના કર્મીઓ જશોદાનગરમાં રોડ તપાસની જગ્યાએ એક દુકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી જે દરમિયાન સ્થાનિકોએ AMCની કર્મીઓ પર હુમલો કર્યો હતો. જો કે, બીજી તરફ એક વેપારીની પત્નીએ કેરોસિન છાંટીને આગ લગાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યાનો વીડિયો પણ સામે આવ્યો છે.
''ડિમોલિશનના નામે હેરાન કરે છો''
જો કે, મહિલાના આત્મવિલોપનના પ્રયાસ બાદ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સાથે જ વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે બે-બે વખત પૈસા લઈ ગયા પછી પણ તોડવા આવ્યા'' વધુમાં કહ્યું કે, ''અમે ભાજપને મત આપીને કોંગ્રેસના ગઢને ભાજપનો ગઢ બનાવ્યો છે, હવે તમે વેપારીઓને ડિમોલિશનના નામે હેરાન કરે છે. બે-બે લાખ રૂપિયા માગો છો. મોટા-મોટા અધિકારીઓ પૈસા માગે છે''.
AMCની ટીમ પર ટોળાએ પથ્થરમારો કર્યો
AMCની ટીમ પર ટોળાએ પથ્થરમારો કરતા કોર્પોરેશનની ગાડીનો કાચ તુટ્યો હતો. જે બાદ પોલીસ બંદોબસ્ત ફળવાયો હોવા છતા કોર્પોરેશનની ટીમ પોલીસ વિના પહોંચી હતી. ડિમોલેશન રોકવા માટે પથ્થરમારો બાદમાં મહિલાએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
અન્ય ત્રણેક લોકો પણ દાઝ્યા!
કરિયાણાની દુકાન ધરાવતી નર્મદાબેન કુમાવત નામની 37 વર્ષીય મહિલાએ કેરોસિન છાંટી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મહિલાને બચાવવાના પ્રયાસમાં અન્ય ત્રણેક લોકો પણ દાઝ્યા હોવાથી વિગતો સામે આવી છે. વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા હાલમાં આ મામલે જાણવાજોગ નોંધી કાર્યવાહી કરવામાં હાથ ધરી છે.






