Home Gujarat Meteorologist Ambalal Patels Dangerous Forecast Of Unseasonal Rain And Hail In Gujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી : ગુજરાતમાં આ તારીખથી કમોસમી વરસાદ સાથે પડશે કરા, જાણો ક્યારે ફૂંકાશે ચક્રવાત

Ambalal Patel Gujarat Weather Update
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 06:48 AM IST

Gujarat Weather Update: રાજ્યમાં ગરમીના પારા વચ્ચે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરો સહિત મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે. આ આકસ્મિક ફેરફારને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને ભેજવાળા વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પવનની દિશામાં ફેરફાર અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજને કારણે આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમની અસર વધુ જોવા મળી શકે છે, જ્યાં સામાન્ય કરતા વધુ વરસાદી ઝાપટાં પડી શકે છે.

7 થી 10 એપ્રિલ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કરા પડવાની શક્યતા

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહના અંતમાં એટલે કે 7 થી 10 એપ્રિલ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વધુ તોફાની બની શકે છે. આ સમયગાળા દરમિયાન પવનના જોર સાથે વરસાદી માહોલ જામશે અને કેટલાક સ્થળોએ કરા (Hailstorm) પડવાની પણ શક્યતા છે. આ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જેવા કે બાજરી, તલ અને ફળોના રાજા ગણાતી કેરીના પાકને મોટું નુકસાન પહોંચી શકે છે, જેનાથી ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ : વીજળીના કડાકા સાથે આ 4 જિલ્લામાં કમોસમી વરસાદ, કેસર કેરી અને રવિ પાકને નુકસાનનો ખતરો

15 એપ્રિલથી ગરમીનો પારો ઉંચકાશે

માવઠાની આ અસર લાંબો સમય નહીં ટકે. આગાહી મુજબ, 15 એપ્રિલથી રાજ્યમાં હવામાન સાફ થવાનું શરૂ થશે. વાદળો હટતાની સાથે જ સૂર્યનારાયણ પ્રકોપ વરસાવશે અને ગરમીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. એપ્રિલના બીજા પખવાડિયામાં લૂ (Heat Wave) ફૂંકાવાની પણ શક્યતા છે, જેનાથી લોકોને બપોરના સમયે ભારે અકળામણનો સામનો કરવો પડી શકે છે.

બંગાળની ખાડીમાં ચક્રવાતનું જોખમ

સૌથી મહત્વની વાત એ છે કે, 20 એપ્રિલ પછી બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી ચક્રવાત (Cyclone) સર્જાવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જો આ ચક્રવાત સક્રિય થાય છે, તો તેની અસર દેશના દરિયાકાંઠાના રાજ્યો સહિત ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. એપ્રિલના અંતમાં સમુદ્રમાં હલચલ વધવાને કારણે માછીમારોને પણ સાવધ રહેવા સૂચના અપાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now