રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કાલોલ તાલુકાના મલાવ ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જાતે ગાય દોહી હતી અને હળ ચલાવીને હળદરનું વાવેતર પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ જાતે ગાય દોહીને સાયકલ દ્વારા મલાવ દૂધ સહકારી મંડળીમાં દૂધ ભરાવવા પણ ગયા હતા. દૂધ મંડળીમાં જમા કરાવાયેલા દૂધના ભાવ પેટે મળેલી રોકડ રકમ તેમણે ગૌસેવા માટે દાન કરી હતી.
હળ ચલાવી કર્યું હળદરનું વાવેતર
રાજ્યપાલએ પ્રગતિશીલ ખેડૂત નરેશ પટેલના મોડલ ફાર્મમાં હળ ચલાવી હળદરનું વાવેતર કર્યું હતું. તદુપરાંત, પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ, ત્યાં ઉગાવવામાં આવેલ વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પાકોની ગુણવત્તા જોઈ રાજ્યપાલએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: વન નેશન, વન ઈલેકશન પર ગુજરાતમાં JPCની મહત્વપૂર્ણ બેઠક : ગુજરાત મોડલને દેશભરમાં લાગુ કરવાની તૈયારી
આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી નહિવત ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મળે છે, જેનું આ ફાર્મ પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દર વર્ષે આપણે કરોડો રૂપિયા રાસાયણિક ખાતરરૂપી ઝેર ખરીદવામાં વિદેશોને આપીએ છીએ. તેના બદલે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણા દેશનો પૈસો બહાર જતો અટકશે, તેમજ ઉત્પાદન વધતા ખેડૂત પણ સમૃદ્ધ થશે.






