Mau News: ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાલ મઉના સદર બેઠકના સુભાસપા ધારાસભ્ય અબ્બાસ અંસારીનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે. ગુરુવારે મઉ જિલ્લાના પરદહ બ્લોક વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન અબ્બાસ અંસારીએ સમાજવાદી પાર્ટી (સપા) ના મંચ પરથી વિપક્ષીઓ અને વર્તમાન રાજકીય સ્થિતિ પર આકરા પ્રહાર કર્યા હતા. ખાસ વાત એ છે કે, જ્યારે તેમને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ખૂબ જ રમૂજી અંદાજમાં 'કોકરોચ જનતા પાર્ટી'નો ઉલ્લેખ કરીને રાજકીય ગલિયારાઓમાં ઉત્સુકતા વધારી દીધી હતી.
પોતાની ધારાસભ્ય નિધિમાંથી નિર્મિત એક નવી સડકના ઉદ્ઘાટન માટે પહોંચેલા અબ્બાસ અંસારીએ સપાના સ્થાનિક નેતાઓ સાથે મંચ શેર કર્યું હતું. લાંબા સમય બાદ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા આવેલા ધારાસભ્યના આ પગલાને લઈને અનેક રાજકીય અટકળો પણ લગાવવામાં આવી રહી છે. મંચ પરથી તેમણે માત્ર પોતાના વિકાસ કાર્યોની ગણતરી જ નહીં, પરંતુ આગામી દિવસોમાં પોતાની રાજકીય દિશા વિશે પણ સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો.
'જો સિમ્બોલ મળે તો કોકરોચ પાર્ટીમાંથી લડી લઈશું'
2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ અંગે જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું, ત્યારે અબ્બાસ અંસારીએ હસતા-હસતા કહ્યું, "ચૂંટણીમાં હજુ ઘણી વાર છે. અત્યારે તો 'કોકરોચ પાર્ટી'ની ખૂબ ચર્ચા ચાલી રહી છે, જો મને તેનું સિમ્બોલ મળી જાય તો હું તે પાર્ટીમાંથી જ ચૂંટણી લડી લઈશ!" તેમણે રમૂજમાં ઉમેર્યું કે, જો જિલ્લામાં ક્યાંય આ પાર્ટીની ઓફિસ ખુલી હોય તો મને ત્યાં લઈ જાઓ, હું આજે જ જોડાઈ જઈશ. તેમનો આ અંદાજ મંચ પર હાજર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો: ભાજપ બાદ 'કોકરોચ જનતા પાર્ટી' એ કોંગ્રેસને પણ પછાડી: હવે ટ્રેડમાર્ક મેળવવા માટે લાગી અરજીઓની લાઈન!
સપા સાથેના સંબંધો પર આપી પ્રતિક્રિયા
સમાજવાદી પાર્ટીના મંચ પર હાજર રહેવા અંગે જ્યારે તેમને સપા સાથે જોડાવા વિશે પ્રશ્ન કરાયો, ત્યારે અબ્બાસ અંસારીએ ખૂબ જ સાવચેતીપૂર્વક જવાબ આપતા કહ્યું કે, "આ અંગે માત્ર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ કંઈ કહી શકે છે, હું આ બાબતે કંઈ પણ કહેવા માટે અધિકૃત નથી."
વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર
પોતાના સંબોધન દરમિયાન અબ્બાસ અંસારીએ વિરોધીઓ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ૨૦૨૪માં જનતાએ જવાબ આપી દીધો છે અને ૨૦૨૭માં પણ જનતા જ વિરોધીઓને મોટો જવાબ આપશે. વિકાસના કામોનો શ્રેય લેવા નીકળેલા નેતાઓને આડેહાથ લેતા તેમણે પૂછ્યું કે, "શું કોઈએ પોતાની જમીન વેચીને વિકાસ કર્યો છે? આ તો જનતાના ટેક્સના પૈસા છે." તેમણે વધુમાં દાવો કર્યો કે તેમણે પોતાના જીવનમાં ૧૮ ગામો વસાવ્યા છે અને જનતા હવે જાતિ-ધર્મના ચક્કરમાં આવીને ત્રીજી વાર છેતરાશે નહીં. આ કાર્યક્રમમાં અબ્બાસ અંસારી ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. લોકોનો પ્રેમ જોઈને તેમણે કહ્યું કે, "મારા શરીરમાં જ્યાં સુધી લોહીની છેલ્લી બૂંદ અને શ્વાસ છે, ત્યાં સુધી હું મારી જનતાના માન-સન્માન અને સુખ-દુઃખની રક્ષા કરીશ."






