અમદાવાદ શહેરના લાંભા વોર્ડ હેઠળ આવતા સૈજપુર ગોપાલપુર ગામમાં આજે દુઃખદ ઘટના બની છે. ગામના તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાથી ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
ડૂબેલો વ્યક્તિ હજી સુધી મળી આવ્યો નથી
મળતી માહિતી મુજબ તળાવમાં ડૂબેલો વ્યક્તિ હજી સુધી મળી આવ્યો નથી. તળાવમાં કેમિકલયુક્ત પાણી હોવાથી ફાયર વિભાગના જવાનો તળાવમાં સીધા ઉતરી શક્યા નથી, કારણ કે તેનાથી આરોગ્યને ગંભીર જોખમ છે. હાલ લાશની શોધખોળ માટે બોટ બોલાવવામાં આવી છે અને ફાયર ટીમ બોટના આગમનની રાહ જોઈ રહી છે.
પોલીસ પણ ઘટનાસ્થળે
સ્થાનિક લોકોની ભારે ભીડ સ્થળ પર એકત્ર થઈ છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તળાવમાં કેમિકલયુક્ત પાણી કેમ ભરાયું છે અને તે ક્યાંથી આવ્યું તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે. તંત્ર દ્વારા સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને ડૂબેલા વ્યક્તિને બહાર લાવવાનો પ્રયાસ ચાલુ છે.






