અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ગત બુધવારે મોડી રાત્રે નજીવી બાબતમાં એક યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો વતની અને છેલ્લા કેટલાક સમયથી નિકોલમાં આવેલ મુક્તિધામ એસ્ટેટ ખાતે એમ્બ્રોઈડરીના કારખાનામાં રહેતા અને કામ કરતા વિવેક સિંહ તોમર તેના પિતરાઇ ભાઇ સાથે એસ્ટેટના ગેટ નંબર 1 પાસે બેઠો હતો. આ દરમિયાન તેના મિત્રો આકાશ ચૌહાણ, આઝાદ ચૌહાણ અને નિતેશ ઉર્ફે દીનુ તોમર ત્યાં આવ્યા હતા. અને વિવેક સિંહની સાથે રૂપિયાની લેતી દેતી મામલે ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યા હતા
દરમિયાન નિતેશે તેની પાસે રહેલું ચપ્પુ કાઢો અને વિવેક સિંહને એક બાદ એક બે ઘા મારી દીધા હતા. જો કે, તેનો પિતરાઇ ભાઇ વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો હતો. હત્યાનો બનાવ બન્યો હોવાની જાણ થતાં જ નિકોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાના બનાવને લઇને તપાસ શરુ કરી હતી. નિકોલ પોલીસે આ સમગ્ર હત્યા મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાંથી પોલીસે આકાશ ચૌહાણ તેમજ નિતેશ તોમરની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓ અને મૃતક વચ્ચે રૂપિયા 500ની લેતીદેતીમાં બોલાચાલી ઝઘડો થયો હતો. જેથી આરોપીઓએ વિવેકને બહુ ચરબી છે, આજે તેની ચરબી ઉતારી દઈએ તેમ કહીને છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપી નિતેશ વિરુદ્ધમાં અગાઉ પણ સાત જેટલા અલગ-અલગ ગુના દાખલ થઇ ચુક્યા છે. અને પાસા તેમજ તડીપાર પણ થયેલ છે.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






