અમદાવાદ શહેરમાં વધતા અસામાજિક તત્વોના આતંક પછી ફરીવાર આંતરીક બદલીનો ઓર્ડર આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 28 PIની આંતરિક બદલીના આદેશ પોલીસ કમિશનરે આપ્યા છે. જ્યારે બદલી પામી અમદાવાદ આવેલા 4 PIને પણ નિમણુંક અપાઈ છે. વી. ડી મોરીને SOGમાંથી રામોલ PI તરીકે મુકવામાં આવ્યા છે . જ્યારે રામોલના PI ચૌધરીને કંટ્રોલ રૂમમાં મુકી દેવાયા છે.
વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાઓ પછી અમદાવાદ શહેર પોલીસની ઢીલી નીતિ ચર્ચામાં આવવા સાથે કાયદો વ્યવસ્થા મુદ્દે અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ગંભીર નોંધ લેવા સાથે જરૂરી આદેશો પણ છૂટ્યા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા DGP વિકાસ સહાયના આદેશ મુજબ 100 કલાકમાં લુખ્ખા તત્વોની યાદી તૈય્યાર કરવા સાથે પોલીસ મથકોમાં તેનાત પોલીસ ઈન્સ્પેક્ટર્સની ભૂમિકાની સમીક્ષા અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, અને અંતે આજે 28 PIની બદલીની યાદી જારી કરી દેવાઈ છે. જેમાં વસ્ત્રાલ જે પોલીસ મથક ની હદમાં આવે છે તે રામોલ પોલીસ મથકના PI એસ. બી ચૌધરીને સાઈડ લાઈન કરી કંટ્રોલ રૂમમાં મૂકી દીધા છે અને તેઓના સ્થાને સિંઘમ મિજાજ ધરાવતા PI વી. ડી મોરીને SOGમાંથી રામોલ પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.
જ્યારે અમદાવાદના જુદા જુદા પોલીસ મથકમાં સેકન્ડ PI તરીકે ફરજ બજાવતા 6 PIને સાયબર ક્રાઇમ સેલમાં મૂકી દેવામાં આવ્યા છે.ગાયકવાડ હવેલી PI ભાટી અને સેટેલાઇટ PI એચ સી ઝાલાની કામગીરી કદર કરી ક્રાઇમ બ્રાન્ચમાં મુકવામાં આવ્યા. અમદાવાદ શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તેવા આશય સાથે શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી બદલીઓ બાદ અમદાવાદ ની ગુનાખોરી કેટલી અંકુશમાં આવે છે તે આવનારો સમય બતાવશે.






