અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૧૩૫ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૧ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયાને જણાવ્યું હતું.
ડો.રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૨ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૫ પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે ૧૭ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે.જેમાં વડોદરાના ૧૩, અમદાવાદના ૩૦, આણંદના ૯, ભરૂચના ૪, ગાંધીનગરના ૫, મહેસાણાના ૫, ખેડાના ૧૦, સુરતના ૩, અરવલ્લીના ૨, દીવના ૪ તથા બોટાદ, જુનાગઢ, અમરેલી, મહીસાગર, ભાવનગર, ગીર સોમનાથ, નડિયાદ અને રાજકોટના ૧ તેમજ અન્ય રાજ્યોમાં ઉદેપુરના ૨, જોધપુરના ૧, પટનાના ૧ અને મહારાષ્ટ્રના ૪ મૃતકોના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
ડો.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.
જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે, એમ તેમણે જણાવ્યું હતું. સાથે જ, તેમણે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે હાથ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






