કૃષ્ણનગરમાં ભત્રીજાએ તમે દાદીને બીજે રહેવા મોકલી દો કહીને કાકા, કાકી અને પિતરાઇભાઇ સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. આટલું જ નહિ ભાઇએ પિતરાઇબહેનને ચપ્પુનો ઘા માર્યો હતો અને દાદીને નહિ મોકલો તમને બધાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે કાકીએ ભત્રીજા સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
સૈજપુરમાં 55 વર્ષીય હંસાબેન બારૈયા પરિવાર સાથે રહે છે. તેમની મકાનના ઉપરના માળે જેઠાણી શારદાબેન તેમનો પુત્ર જયેશ તથા તેની પત્ની અને બાળકો રહે છે. જ્યારે સાસુ જેઠાણીની દુકાનમાં રહે છે. જ્યારે શારદાબેન અને જયેશ અવારનવાર સાસુને બીજે રહેવા મોકલી દેવાનું જણાવીને હંસાબેન સાથે ઝઘડો કરે છે. ગત 18 જૂને હંસાબેન પતિ સાથે ધાબા પર સૂવા ગયા હતા. ત્યારે હંસાબેનના પુત્ર પ્રતિકે જયેશને કહ્યુ કે તમે દાદીને કેમ દુકાનમાંથી બીજે રહેવા જવાનું કહો છો પૂછતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ભત્રીજા જયેશે કાકા અને કાકીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને માર મારવા લાગ્યો હતો.
આ દરમ્યાન હંસાબેનની પુત્રી ભૂમિ વચ્ચે પડતા જયેશ ચપ્પુનો ઘા માર્યો હતો. તેમજ તમે લોકો દાદીને બીજે રહેવા મોકલી દો નહિ તમને બધાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારે ઇજાગ્રસ્ત હંસાબેન અને ભૂમિને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે હંસાબેને ભત્રીજા જયેશ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.






