ઉપવાસના 17મા દિવસે સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી
લદ્દાખના શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકના અનિશ્ચિત ઉપવાસનો આજે 17મો દિવસ છે. તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધતાં હવે બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ તેમના સમર્થનમાં આગળ આવી છે. અભિનેત્રી ઝીનત અમન, અભિનેતા અભય દેઓલ, નસીરુદ્દીન શાહ અને અન્ય લોકોએ સરકારને સોનમ વાંગચુક સાથે ખુલ્લી ચર્ચા શરૂ કરવાની અપીલ કરી છે.
ઝીનત અમને સરકારને ચર્ચા શરૂ કરવાની કરી અપીલ
ઝીનત અમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે સમાચાર દ્વારા જાણ્યું કે સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત નબળું પડી રહ્યું છે અને તેઓ ભારે પીડામાં છે. તેમણે લખ્યું કે વાંગચુકે ઉપવાસ છોડવાની અપીલના જવાબમાં કહ્યું છે કે, "મને ઉપવાસ છોડવા ન કહો, સરકારને પૂછો કે તેઓ ચર્ચા કેમ નથી કરતી." ઝીનત અમને સરકારને શાંતિપૂર્ણ વાતચીત શરૂ કરવાની અપીલ કરી.
અભય દેઓલ સહિત અનેક હસ્તીઓએ આપ્યો સમર્થન
અભય દેઓલે પણ સોશિયલ મીડિયા પર સોનમ વાંગચુકની તસવીર શેર કરીને ચિંતા વ્યક્ત કરી. તે ઉપરાંત નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, લેખિકા અરુંધતી રોય અને અર્થશાસ્ત્રી જયતી ઘોષ સહિત અનેક જાણીતા લોકોએ પણ સંયુક્ત નિવેદન જાહેર કરીને સરકારને સંવાદનો માર્ગ અપનાવવાની વિનંતી કરી છે.
લાંબા ઉપવાસની સ્વાસ્થ્ય પર પડી રહી છે અસર
અહેવાલો અનુસાર, લાંબા ઉપવાસને કારણે સોનમ વાંગચુકનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને તેમના સ્વાસ્થ્ય પર તેની અસર જોવા મળી રહી છે. તેમ છતાં તેમણે અગાઉ કહ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ વિરોધનો પોતાનો અધિકાર જાળવી રાખશે.
સમર્થકોની સંવાદની માંગ, સરકારની રાહ જોવાઈ રહી છે
સોનમ વાંગચુકના સમર્થકોનું કહેવું છે કે તેમની માંગણીઓ અંગે સરકાર સાથે ખુલ્લી ચર્ચા થવી જોઈએ. બીજી તરફ, સરકાર તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.






