Pahalgam Terror Attack Mastermind Hafiz Saeed: પહેલગામ આતંકી હુમલાની તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. જમ્મુની વિશેષ NIA કોર્ટે લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કેસની નિષ્પક્ષ અને અસરકારક તપાસ માટે હાફિઝ સઈદની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. જો કે આ વોરંટ 8 જુલાઈએ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ તેની માહિતી હવે જાહેર થઈ છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પહેલગામ આતંકી હુમલા સંબંધિત પૂરક ચાર્જશીટ દાખલ કરીને હાફિઝ સઈદને સમગ્ર હુમલાનો મુખ્ય કાવતરાખોર ગણાવ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલાની સંપૂર્ણ યોજના પાકિસ્તાનમાં બેઠેલા હાફિઝ સઈદના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી અને હુમલાખોરોને પાકિસ્તાનમાંથી સતત સૂચનાઓ આપવામાં આવી રહી હતી.
NIAની પૂરક ચાર્જશીટમાં હાફિઝ સઈદ પર ગંભીર આરોપો
6 જુલાઈએ NIAએ કોર્ટમાં રજૂ કરેલી પૂરક ચાર્જશીટમાં દાવો કર્યો છે કે 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરન ઘાટીમાં થયેલો આતંકી હુમલો કોઈ સ્થાનિક ઘટના નહોતી, પરંતુ પાકિસ્તાનથી સંચાલિત આતંકી ષડયંત્રનો ભાગ હતો. એજન્સી અનુસાર, લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદે હુમલાનું કાવતરું ઘડ્યું હતું અને આતંકવાદીઓને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાના હેતુથી માર્ગદર્શન આપ્યું હતું. ચાર્જશીટમાં તેમના પર ભારતની સુરક્ષા અને સંપ્રભુતા સામે યુદ્ધ છેડવાના ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આસારામે ફરી સુપ્રીમ કોર્ટમાં લગાવી ગુહાર : ખરાબ તબિયતનો હવાલો આપી માગ્યા જામીન, હવે આ તારીખે થશે સુનાવણી
પહેલગામ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા હતા
22 એપ્રિલ, 2025ના રોજ આતંકવાદીઓએ કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા દરમિયાન આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછીને તેમને નિશાન બનાવ્યાનો આરોપ છે. આ ભયાનક હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર દેશ આ ઘટનાથી હચમચી ગયો હતો અને હુમલા બાદ કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.
ઓપરેશન સિંદૂરથી ભારતનો જવાબ
પહેલગામ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6 અને 7 મે, 2025ની રાત્રે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. આ કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના કુલ 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતનો દાવો છે કે, આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનને આતંકવાદ વિરુદ્ધ ભારતની સૌથી મોટી સૈન્ય કાર્યવાહીમાંથી એક માનવામાં આવે છે.
પ્રથમ ચાર્જશીટમાં હાફિઝનું નામ નહોતું
પહેલગામ હુમલા બાદ NIAએ 15 ડિસેમ્બર, 2025ના રોજ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં પાકિસ્તાનના આતંકી હેન્ડલર સાજિદ જટ સહિત છ આતંકીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. તે સમયે હાફિઝ સઈદનું નામ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યું ન હતું. જોકે, તપાસ આગળ વધતા નવા પુરાવા મળ્યા બાદ હવે પૂરક ચાર્જશીટમાં તેને હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ જાહેર કરવામાં આવ્યો છે.
NIAના ચાર્જશીટમાંથી સામે આવેલા 5 મોટા ખુલાસા
આતંકવાદીઓને પાકિસ્તાનથી મળતા હતા રિયલ-ટાઈમ આદેશ
NIAના જણાવ્યા મુજબ હુમલાનો મુખ્ય હેન્ડલર સૈફુલ્લાહ જટ ઉર્ફે 'લંગડા' હતો. તેણે આતંકવાદીઓને હુમલાની જગ્યા, સમય અને અન્ય વિગતો રિયલ-ટાઈમમાં મોકલી હતી. હુમલા દરમિયાન પણ તે સતત આતંકવાદીઓના સંપર્કમાં હતો.
બે સ્થાનિક ગાઈડની ધરપકડ
તપાસમાં ખુલ્યું કે, સ્થાનિક ટુરિસ્ટ ગાઈડ પરવેઝ અહેમદ જોઠાર અને બશીર અહેમદ જોઠારે હુમલા પહેલાં આતંકવાદીઓને બૈસરન વિસ્તારમાં જોયા હતા, છતાં તેમણે સુરક્ષા દળોને જાણ કરી નહોતી. બાદમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
હુમલા પહેલાં બૈસરનમાં કર્યું હતું ભોજન
ચાર્જશીટ મુજબ હુમલાના એક દિવસ પહેલાં ત્રણેય આતંકવાદીઓએ એક સ્થાનિક ઝૂંપડીમાં ભોજન કર્યું હતું. ત્યારબાદ તેઓ હુમલાના સ્થળે પહોંચ્યા અને હુમલા પહેલાં ઝાડ નીચે બેસીને ભોજન લીધું હતું. ત્યારબાદ ધાર્મિક નારા લગાવતા ગોળીબાર શરૂ કર્યો હતો.
ચીન મારફતે પહોંચ્યો એક્શન કેમેરો
તપાસમાં જાણવા મળ્યું કે હુમલાની સંપૂર્ણ ઘટનાને રેકોર્ડ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ એક્શન કેમેરો અમેરિકામાં બનાવવામાં આવ્યો હતો અને ચીન મારફતે પાકિસ્તાન પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તે આતંકવાદીઓ સુધી પહોંચ્યો હતો.
કરાચી અને લાહોરથી આવ્યા મોબાઈલ ફોન
એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળેલા Redmi 9T અને Redmi Note 12 મોબાઈલ ફોનની તપાસમાં જાણવા મળ્યું કે આ ઉપકરણો કરાચી અને લાહોરની સપ્લાય ચેઇન મારફતે આતંકવાદીઓ સુધી પહોંચ્યા હતા. ફોનમાં બૈસરન ઘાટીનું લોકેશન, સ્ક્રીનશોટ અને અન્ય મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા પણ મળ્યા હતા.
પહેલગામ હુમલા બાદ ભારતના પાંચ મોટા ઓપરેશન
પહેલગામ હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદ સામે સતત કાર્યવાહી હાથ ધરી હતી.
ઓપરેશન સિંદૂર (7 મે, 2025) દરમિયાન પાકિસ્તાન અને PoKમાં આવેલા 9 આતંકી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો અને 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો.
ઓપરેશન કેલર (13 મે, 2025)માં શોપિયાં અને શુકેલ-કેલર વિસ્તારમાં ત્રણ લશ્કર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા, જેમાં ટોપ કમાન્ડર શાહિદ કુટ્ટે પણ સામેલ હતો.
ઓપરેશન મહાદેવ (28 જુલાઈ, 2025) દરમિયાન શ્રીનગરના મહાદેવ રિજ વિસ્તારમાં સુરક્ષા દળોએ ત્રણ પાકિસ્તાની આતંકીઓને ઠાર કર્યા હતા.
ઓપરેશન અખલ (ઓગસ્ટ 2025)માં કુલગામ જિલ્લાના જંગલ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો.
ઓપરેશન ગુડ્ડર (7થી 17 સપ્ટેમ્બર, 2025) દરમિયાન કુલગામના ગુડ્ડર જંગલમાં બે આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા, જોકે આ કાર્યવાહી દરમિયાન ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા હતા.
આતંકવાદ વિરુદ્ધ તપાસ વધુ તેજ બનશે
હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર થયા બાદ તપાસ એજન્સીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કાયદાકીય કાર્યવાહી તેજ કરી શકે છે. NIAના દાવા મુજબ હુમલાની આખી યોજના પાકિસ્તાનમાં બેઠેલા આતંકી નેટવર્ક દ્વારા ઘડાઈ હતી. હવે કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી અને આગામી તપાસમાં વધુ નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





